મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ
SHARE
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ
નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શિક્ષણની સાથે રમતગમત, માનવતા, ભારતીય સંસ્કાર, સર્જનાત્મકતા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનું ઘડતર થાય તે હેતુથી તાજેતરમાં વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોળાફેંકમાં અદિતિબા જાડેજા જિલ્લા પ્રથમ
નવયુગ વિદ્યાલયની પ્રતિભાશાળી વિદ્યાર્થિની અદિતિબા જાડેજાએ જિલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધનની ઉજવણી
નવયુગ વિદ્યાલયના ધો. 7 અને 8ની વિદ્યાર્થિનીઓએ વડીલો, વૃદ્ધો અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓનું બીજું ઘર ગણાતા યદુનંદન ગૌશાળા ખાતે લાગણીસભર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીઓએ ત્યાં આશ્રય લઈ રહેલા વડીલો અને જરૂરિયાતમંદ ભાઈઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રકૃતિ રક્ષાબંધન અને 100 ફૂટની રાખડી
નવયુગ સંકુલ ખાતે રક્ષાબંધનને પ્રકૃતિ સંરક્ષણ સાથે જોડીને પ્રકૃતિ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી તેમના જતન અને સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી તૈયાર થયેલી 100 ફૂટ લાંબી વિશાળ રાખડી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે એકતા, પ્રેમ, ભાઈચારા અને સંસ્કારનો સુંદર સંદેશ આપતી હતી.
નવયુગ કોલેજમાં ‘Seed Embedded Rakhi Making Competition’
નવયુગ કોલેજના B.Sc. વિભાગ દ્વારા રક્ષાબંધનને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી ‘Seed Embedded Rakhi Making Competition’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગોબર, માટી અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી વિવિધ બીજ ધરાવતી અનોખી રાખડીઓ તૈયાર કરી હતી. આ રાખડીને જમીનમાં મૂક્યા બાદ તેમાંથી છોડ ઉગી શકે તે વિચાર દ્વારા “રાખડી દ્વારા પ્રકૃતિનું રક્ષણ”નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્ટાફ સેમિનારમાં નવી દિશા અંગે માર્ગદર્શન
નવયુગ સંકુલ ખાતે સ્ટાફ માટે વિશેષ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોતા તથા શ્રી સૂચિતભાઈ પ્રજાપતિ દ્વારા શિક્ષકની બદલાતી ભૂમિકા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્ત, સંસ્કાર, નવીન શૈક્ષણિક અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં સંસ્થાનો ધ્યેય વિદ્યાર્થીઓને માત્ર ગુણવાન નહીં, પરંતુ પ્રતિભાશાળી, સંસ્કારવાન, સમાજ પ્રત્યે સંવેદનશીલ અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર નાગરિક બનાવવાનો છે.









