મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ
મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ
SHARE
મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ
મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. નિરાધાર, અનાથ તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાં રહેલા બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારની આર્થિક સહાય, શિક્ષણ, આરોગ્ય, પોષણ અને આશ્રયની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
પાલક માતા-પિતા યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૪૩૭ અનાથ બાળકોને માસિક ૩,૦૦૦ રૂપિયાની સહાય તેમના સંભાળ તથા શૈક્ષણિક ખર્ચ માટે આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા પૈકી કોઈ એકને ગુમાવનાર ૪૩૩ બાળકોને માસિક ૨,૦૦૦ રૂપિયાની સહાય તેમના અભ્યાસ માટે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી આપવામાં આવી રહી છે. તેમજ સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કર્યા બાદ ૪૬ બાળકોને માસિક ૩,૦૦૦ રૂપિયાની સહાય તેમના શિક્ષણ અને સંભાળ માટે આપવામાં આવે છે. ખાસ કરીને એચ.આઈ.વી. પોઝિટિવ બીમારીથી અસરગ્રસ્ત બાળકો અથવા તેમના માતા-પિતા પૈકી કોઈ એક અસરગ્રસ્ત હોય તેવા ૬૪ બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આ ઉપરાંત સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા ૧૩૩ બાળકોને સંસ્થાકીય આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની જરૂરી સેવાઓ સાથે ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં આવે છે. પાલક માતા-પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત સરળ બને તે હેતુથી લગ્ન સહાય પેટે બે લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૨ દીકરીઓને કુલ ૨૪ લાખની સહાય આપવામાં આવી છે. આમ, મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી તેમના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સંવેદનશીલ અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.