મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મંદિરની સામેના ભાગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરીના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કુલથી આગળના ભાગમાં આવેલ બુટાની વાડીમાં રહેતા ભૂરાલાલ પ્રભુભાઈ પરમાર જાતે સતવારા (ઉમર ૩૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૧૭-૪ ના રોજ તેઓ મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે મહાદેવ મંદિરની સામેના ભાગમાં બાઇક લઈને ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઇક જેના એન્જિન નંબર પી.એફ.એક્સ.એમ.ડબલ્યુ.જી ૬૮૯૪૬ ને પાર્ક કરીને મૂક્યું હતું.તે રૂા.૨૦,૦૦૦ ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભુરાલાલ પરમારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં બેને ઈજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી નૌતમભાઇ રામજીભાઇ ખાંભુ (ઉમર ૫૦) રહે.ઉમિયાનગર મોરબી તેમજ વાઘજીભાઈ લાભુભાઈ સેલાણી (ઉમર ૨૩) રહે.જાંબુડીયા તા.જી.મોરબી નામના બે લોકોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે નોરબીની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને નૌતમભાઈની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જેથી વાંકાનેર પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
મોરબીના આનંદનગર વિસ્તાર પાસે આવેલ ગુલાબનગરમાં રહેતો સુમિત સુરેશભાઈ હળવદિયા નામનો ૨૨ વર્ષીય યુવાન શનાળા રોડ ઉપર કોઈ કારણોસર ફિનાઇલ પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.