મોરબીના બેઠા પુલ ઉપર લોકોને હાડમારી સમાન ઉભરાતી ગટર બંધ કરાવવાની જવાબદારી કોની...?
મોરબીમાં ગૃહમંત્રી આવતાં દબાણો હટાવાયા..! શું આ સફાઇ અભીયાન દરોજ ન હોવું જોઈએ..?
SHARE









મોરબીમાં ગૃહમંત્રી આવતાં દબાણો હટાવાયા..! શું આ સફાઇ અભીયાન દરોજ ન હોવું જોઈએ..?
મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ હોય ઘરફોડ ચોરી, વાહન ચોરી, સીમ ચોરી, ધાડ અને લૂંટ, જીવલેણ મારામારી અને અન્ય ગંભીર બનાવો મોરબીમાં વધી રહ્યા હોય લોકોનો રોષ જોઈને ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે આવ્યા હતા. તે નિમિત્તે અહીંનું નઘરોળ તંત્ર દોડતું થઇ ગયું હતું. એટલે કે મોરબીમાં વર્ષોથી જે જગ્યાએ દબાણ છે તે દબાણોને માત્ર એક દિવસ માટે બ્રેક મારી દેવામાં આવી હતી જોકે એક દિવસમાં નહીં તે દિવસે સાંજે જ એ જગ્યાએ દબાણ પુનઃ સ્થાપિત થઈ ગયા હતા તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
કારણ કે મોરબીની વીસી હાઇસ્કુલ કે જે એકમાત્ર સારી સરકારી હાઈસ્કૂલ શહેરમાં બચી છે તેના દરવાજા પાસે તરબૂચ-ટેટીથી લઈને બરફના ગોલાવાળા સહિતના લોકોની લારીના દબાણો હોય છે જોકે ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી મોરબી આવ્યા હોય તે નિમિત્તે જાણે આગલા દિવસે સાંજે પોલીસે આ લારીવાળાઓને સૂચના આપી દીધી હશે કે કાલનો દિવસ તમારે નથી આવવાનું તેમ સવારથી જ આ જગ્યાએ લારી-ગલ્લા જોવા મળ્યા ન હતા જોકે બપોરના એક વાગ્યાના અરસામાં જ્યારે હર્ષ સંધવી મોરબીમાંથી નીકળી ગયા ત્યાર બાદ એટલે કે બપોર પછીથી જ આ જગ્યાએ પુન: દબાણ જોવા મળ્યા હતા. તે રીતે જ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ડિંડક કરવામાં આવતુ હોય અને મંત્રીને સારૂસારૂ દેખાડવા માટે જ પગલાં લેવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો.જોકે મોરબીના પ્રબુદ્ધ નાગરિકો તંત્રને પૂછી રહ્યા છે કે શહેરના મેઇન રોડ તેમજ મુખ્ય ચોકમાં ખડકાયેલા લારી-ગલ્લા કે પાથરણાના દબાણ હટવવાની શું જરૂરિયાત દરરોજ નથી લાગતી..? લોકો માટે દરરોજ રોડ રસ્તા ખુલ્લા રહે તે જરૂરી નથી..?
મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આશરે ૫૦ જેટલી લારીના દબાણો ખડકાયેલા છે અને શાક માર્કેટમાં વેચવાની વસ્તુ એટલે કે ડુંગળી-લસણ કે બટાકા જેવી વસ્તુઓ પણ જ્યારે નગર દરવાજાના ચોકમાં વેચાઈ રહી છે..! બુટ-ચપલ હોય કે કપડા, ખાણીપીણી હોય કે અન્ય કોઈપણ વસ્તુ હોય તેના વેચાણ માટે લારી-ગલ્લા તેમજ પાથરણાના મોરબીના નગર દરવાજા ચોકમાં જે ખડકલા કરવામાં આવ્યા છે તે કોના લાભાર્થે છે..? તે તપાસનો વિષય છે. કારણકે માત્ર પોલીસ વિભાગના સામાન્ય કોન્સ્ટેબલ કે પાલીકાના કોઇ કલાર્કની દયાથી આ દબાણો રાખવા શકય જ નથી.એટલે કે પોલીસ હોય કે પાલીકાના ઉપરી અધિકારીઓની મૂક સંમતિ ન હોય તો આ રીતે મુખ્ય માર્ગો કે મેઇન ચોકમાં આ ખડકલા શક્ય જ નથી તેવું આજે જગજાહેર છડેચોક લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ મુદદાઓ ભારે બહુમતીથી પ્રજાએ આગેવાન બનાવેલા અહીંના રાજકીય આગેવાનો પણ આવી નાની-નાની વાતોને ધ્યાનમાં લેતા ન હોય મોરબીની પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે અને જે આગામી ચૂંટણીમાં સો ટકા શાસક પક્ષને નુકસાન કરે તો નવાઈ નહીં.
