ન કોઈ ફોટો, ન કોઈ વિડીયો, મોરબી પુલ દુર્ઘટના માં કોઈ પણ જાત ની પ્રસિધ્ધિ વગર અવિરત માનવસેવા પ્રદાન કરતું મોરબી જલારામ પ્રાર્થના મંદિર
SHARE
ન કોઈ ફોટો, ન કોઈ વિડીયો, મોરબી પુલ દુર્ઘટના માં કોઈ પણ જાત ની પ્રસિધ્ધિ વગર અવિરત માનવસેવા પ્રદાન કરતું મોરબી જલારામ પ્રાર્થના મંદિર
લોકોના મૃત્યુ ને પોતાની પ્રસિધ્ધી નુ સાધન બનાવતી સામાજીક સંસ્થાઓ તેમજ રાજકારણીઓને આડેહાથ લેતા મોરબી જલારામ મંદિર અગ્રણી નિર્મિત કક્કડ
લોકોના મોતનો મલાજો જાળવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર. મૃતદેહોને બહાર કાઢવા, મૃતદેહોને શબવાહિની દ્વારા તેમજ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલ પહોંચાડવા, વિનામુલ્યે અંતિમયાત્રા, બચાવ કામગીરીમાં રોકાયેલ લોકો તેમજ દીવંગતોના પરિવારજનો માટે બંને ટાઈમ ભોજન સહીતની સેવા જલારામ મંદિર-મોરબી દ્વારા પ્રદાન કરવામાં આવી હતી.
મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝુલતો પુલ તુટવાની ઘટનાને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે.આ કરૂણાંતિકામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે ત્યારે મોરબી તેમજ આસપાસનાં વિસ્તારની વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી બચાવ કાર્યમાં જોડાઈ હતી. પરંતુ અમુક રાજકારણીઓ તેમજ અમુક સંસ્થાઓએ મોતનો મલાજો જાળવ્યો ન હતો તેઓએ આ આફતને પોતાની પ્રસિધ્ધીના અવસર તરીકે લઈ ફોટા તેમજ વિડીયો વાઈરલ કરી વાહવાહી લુંટવાનો પ્રયત્ન કર્યો હતો જે ખરેખર નિંદનીય કહી શકાય તેમ નિર્મિતભાઇ કકકડે દુ:ખ સાથે જણાવ્યું હતુ. કેમકે એક બાજુ મરણચીસો ગુંજી રહી હતી, પરિજનો પોતાના સ્વજનોને ગોતવા વલખા મારી રહ્યા હતા, તંત્ર દ્વારા બચાવ કામગીરી પુરજોશ માં ચાલતી હતી, દરેક આંખોમાં આંસુ હતા ત્યારે અમુક રાજકારણીઓ તેમજ અમુક સામાજીક સંસ્થાઓ દ્વારા ફોટો વિડીયો વાઈરલ કરી પોતાની નબળી માનસિકતા છતી કરવામાં આવી હતી.
બીજી બાજુ મોટાભાગના મોરબીના લોકો તેમજ અમુક સંસ્થાઓ કે જે બચાવ કાર્યમાં જોડાયા હતા તેઓ ખરા અર્થમાં લોકોના દુઃખમાં સહભાગી થયા હતા. ન કોઈ ફોટો, ન કોઈ વીડીયો, માત્ર માનવતાનો ધર્મ નિભાવવા આગળ આવ્યા હતા. આમાંની એક સંસ્થા છે મોરબી જલારામ મંદિર. મોરબી જલારામ મંદિર દ્વારા તંત્ર સાથે રહી સંસ્થાના આગેવાનો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં તેમજ શબવાહિની દ્વારા મૃતદેહોને સિવિલ હોસ્પીટલ પહોંચાડવા, ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલ પહોંચાડવા તેમજ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલથી ઘરે પહોંચાડવા, વિનામુલ્યે સ્મશાનયાત્રા, અંતિમ સંસ્કાર તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલ લોકો તેમજ દીવંગતોના પરિવારજનો માટે બંને ટાઈમ ભોજન પહોંચાડવાની વ્યાવસ્થા સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ સંસ્થા દ્વારા સેવાનો એક પણ ફોટો કે વિડીયો વાઈરલ ન કરીને મોતનો મલાજો જાળવ્યો હતો તેમજ ખરા અર્થમાં માનવતાની મહેર પ્રસરાવી હતી.
આ અંગે મોરબી જલારામ મંદિર ના અગ્રણી નિર્મિત કક્કડ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મોરબીના ઘણા બધા લોકો તેમજ સંસ્થાઓએ ફોટો કે વિડીયો વાઈરલ ન કરી માનવતાની મિશાલ કાયમ કરી છે. વઘુમાં જણાવ્યુ હતુ કે મોરબી જલારામ મંદિર, યંગ ઈન્ડીયા ગૃપ, યુવા આર્મિ ગૃપ, કર્તવ્ય જીવદયા ગૃપ સહીતની વિવિધ સંસ્થાઓએ પણ સેવાના ફોટા વાઈરલ ન કરી ખરા અર્થમાં માનવધર્મ નિભાવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે જીવીત લોકોની સેવાની માહિતી અમે પણ પ્રસિધ્ધ કરીએ છીએ કેમકે અન્ય લોકોને પ્રેરણા મળે પરંતુ ઝુલતા પુલની કરૂણાંતિકા ખુબ જ દુઃખદાયક છે તેમાં લોકોના દુઃખમાં સહભાગી થવાનુ હોય નહીં કે તેના દ્વારા પ્રસિધ્ધી મેળવવાની હોય.મોરબી જલારામ મંદિરના નિર્મિત કક્કડને સવાલ પુછવામાં આવ્યો હતો કે અમુક સંસ્થાઓ એવો દાવો કરે છે કે અમે આટલા લોકોના જીવ બચાવ્યા તેવા ફોટો વાઈરલ કરે છે આ બાબતમાં સત્ય કેટલુ ? તે પ્રશ્નના ઉતરમાં તેમણે જણાવ્યુ હતુ કે જે લોકોના જીવ બચ્યા છે તેનો ખરો શ્રેય ત્યાંના સ્થાનિકો તેમજ તરવૈયાઓને જાય છે કેમ કે જ્યારે પુલ તુટ્યો ત્યારે તેઓ ત્વરિત નદીમાં કુદીને લોકોને બચાવ્યા હતા.તંત્ર તેમજ બીજા લોકોને પહોંચતા ૨૦-૨૫ મીનીટ જેટલો સમય લાગ્યો હતો તેટલો સમય કોઈ પાણીમાં ડુબેલ વ્યક્તિ જીવી ન શકે કેમકે જો તેમણે ૧૫ મીનીટમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો જ જીવવાની શક્યતાઓ રહે છે.માટે મેં આટલા બચાવ્યા, મેં આટલા બચાવ્યાની બડાઈ હાંકતા રાજકારણીઓ તેમજ સામાજીક સંસ્થાઓને શરમ આવવી જોઈએ કેમકે લોકોના મૃત્યુને, આ કરૂણાંતિકાને પોતાની પ્રસિધ્ધીનુ સાધન બનાવ્યુ. ઈશ્વર તેમજ દીવંગતોના આત્મા તેમને ક્યારેય માફ નહીં કરે તેમ અંતમાં નિર્મિતભાઇએ આક્રોશપુર્વક જણાવ્યુ હતુ.









