મોરબીમાં મચ્છુ માતાજીનાં મદિર પાસે ખાનગી સ્કૂલ બસે ચાર વ્યક્તિને હડફેટે લીધા
ઝૂલતા પુલની દુર્ઘટનાનો રેલો : મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ, ધરપકડ થાય તેવા સંકેત
SHARE
ઝૂલતા પુલની દુર્ઘટનાનો રેલો : મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ, ધરપકડ થાય તેવા સંકેત
મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી કરીને આ દુર્ઘટના કે, જેની ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ વિશ્વમાં નોંધ લેવામાં આવી છે તેમાં બેદરકાર લોકોની સામે આક્રમા આકરા પગલાં લેવાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે.
ગત રવિવારે સાંજના સાડા છ વાગ્યાની અરસામાં મોરબીના ઝુલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક ધડાકા ભેર જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને પુલ ઉપર ફરવા માટે આવેલા લોકોમાંથી ઘણા લોકો મચ્છુ નદીના પટમાં અને મચ્છુ નદીની પાણીની અંદર પડ્યા હતા અને તેમાંથી કુલ મળીને ૧૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે અને ગઈકાલે મોડી સાંજે રાજ્યના રાહત કમિશનર દ્વારા મચ્છુ નદીમાં એનડીઆરએફ, આર્મી, નેવી, ફાયર બ્રિગેડ સહિતની તમામ એજન્સીઓ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવતી હતી તેને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે ત્યારબાદ હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મળતા મોટા સમાચાર મુજબ મોરબી નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં મહિનાની ચોથી તારીખે સંદીપસિંહ ઝાલાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારબાદ સાતમી તારીખે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓરેવા ગ્રુપ સાથે ઝુલતાપુલની જવાબદારી સોંપવા માટેનો ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવામાં આવ્યો છે જે કરારની અંદર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ તેમજ જે.ઓ. પટેલના નામથી સહી કરવામાં આવેલ છે જોકે ત્યારબાદ તા.૮ ના રોજ કરવામાં આવેલ રોજ કામ કરવામાં આવ્યું હતું તેમાં આગામી જનરલ બોર્ડમાં આ અંગેનો ઠરાવ પસાર કરવાની શરતે ૧૫ વર્ષ માટે જુલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.
જોકે આ કરાર કરવામાં આવ્યા બાદ માર્ચ મહિનાની ૨૯ તારીખે મોરબી નગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી તેમાં મોરબી નગરપાલિકાનું બજેટ પાસ કરવાની સહિતની કામગીરી કરવામાં આવી હતી જોકે ઓરેવા કંપની સાથે કરવામાં આવેલ કરારનો ઠરાવ પાસ કરવામાં આવ્યો નથી જેથી તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઓરેવા ગ્રુપ દ્વારા આ પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પુલને ખુલ્લો મુકવા માટેની અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી અને નવા વર્ષના પહેલા દિવસથી જ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારથી લઈને છઠના દિવસ સુધી જ્યારે પુલ તુટ્યો ત્યાં સુધી નગરપાલિકા દ્વારા પુલનું સંચાલન સંભાળતી એજન્સી દ્વારા ફીટનેસ સર્ટી લેવામાં આવ્યું છે કે કેમ ? તે સહિતના કોઈ મુદ્દાઓની તપાસ કરવામાં આવી ન હતી અને જેવો પુલ તૂટ્યો તેની સાથે જ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોતાના હાથ ખંખેરવા માટે થઈને ફીટનેસ સર્ટી વગર, કોઈને જાણ કર્યા વગર મેનેજમેન્ટ સંભાળતી કંપનીએ આ પુલને ખુલ્લો મુક્યો છે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને તે ખૂબ જ ચર્ચામાં છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી કરીને આના પડઘા હજુ પણ વધુ ગંભીર પડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી કારણકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મોરબીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ ઘટના સ્થળ, મૃતક વ્યક્તિઓના સ્વજન અને ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત કરી હતી અને ત્યાર પછી મોરબીના જવાબદાર અધિકારીઓ સાથે જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બનાવમાં દોષિતો સામે પગલા લેવામાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં તેવું કહ્યું હતું અને તેના ભાગરૂપે હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ થયા છે જેથી કરીને આગામી સમયમાં ચીફ ઓફિસરની આ બનાવમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને અન્ય અધિકારીઓને પદાધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાઈ તેમ નથી.