મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને આઇસર ચાલકે હડફેટે લેતા એકનું મોત : એક સારવારમાં
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને આઇસર ચાલકે હડફેટે લેતા એકનું મોત : એક સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને આઇસર જેવા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ ગોઝારા અકસ્માત બનાવમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.સારવારમાં રહેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતના ઉપરોક્ત બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે મહેન્દ્રનગર ગામેથી માળીયા જતા રોડ ઉપર રામધન આશ્રમની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં હીરો હોન્ડા બાઇક નંબર જીજે ૧૦ સીપી ૬૭૬૪ લઈને ભરત બાબુભાઈ પઢિયાર (ઉમર ૧૯) રહે. પીઠડ તાલુકો જોડીયા જી.જામનગર તથા તેમના ફુવાનો દીકરો ઉમેશ રાજેશ ચૌહાણ (ઉમર ૨૦) બંને મહેન્દ્રનગર ગામની બહાર નીકળ્યા હતા અને માળિયા ફાટક તરફ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા આઇસર જેવા ટ્રક ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવવામાં ઉમેશ રાજેશ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજયુ હતું. જ્યારે ભરત બાબુભાઇ પઢીયાર રહે. પીઠડ વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બાદમાં ભોગ બનેલ ભરત બાબુભાઇ પઢિયાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા આઇસર જેવા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં પીએસઆઇ જે.બી.રાણા દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ખાખરાળા ગામના વતની સોનાબેન તેજાભાઈ વાંક નામના ૭૯ વર્ષીય વૃદ્ધા મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી પાસેથી બાઈકમાંથી પડી જતા ઈજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો સોયબ આબિદ કલાડીયા નામના ૧૮ વર્ષના યુવાનને વાવડી રોડ ઉપર પટેલ વાડી નજીક બે બાઈક સામસામા અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ મોરબીના ખત્રીવાડ વિસ્તાર દરબારગઢની નજીક રહેતા અમિતાબેન સચીનભાઈ રાઠોડ નામના ૩૮ વર્ષીય મહિલા કોઇ કારણોસર ફિનાઈલ પી જતા તેણીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા ભરત બાબુ સોલંકી નામના ૩૦ વર્ષના યુવાનને કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. જ્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે અશ્વિન અમરસીભાઈની વાડીએ ઝેરી દવા પી ગયેલા વરસિંગ મોહનિયા નામના ૪૦ વર્ષના મજૂરને સારવારમાં મોરબી ખસેડવામાં આવ્યો હતો. તેમજ રાજકોટના રહેવાસી જાનમામદ નૂરમામદ ચાનિયા નામના ૫૫ વર્ષના આધેડને ટંકારાના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અરૂણાબેન શંકરભાઈ પ્રહલાદભાઈ મકવાણા નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઈલ પી જતાં તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હોય પોલીસે ઉપરોકત બનાવોની તજવીજ હાથ ધરી છે.