મોરબીના કંડલા બાયપાસ ઉપર અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE









મોરબીના કંડલા બાયપાસ ઉપર અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીના કંડલા બાયપાસ ઉપર છાશવારે વાહન અકસ્માતના બનાવો બને છે જે ગોઝારા અકસ્માતોમાં નિર્દોષ માનવ જીંદગીઓ મોતનાં મુખમાં હોમાઈ જાય છે.આગલા દિવસે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યા બાદ ગઇકાલે વધુ એક યુવાનનું અકસ્માતમાં મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ માળિયા મિંયાણાના વવાણીયા ગામના મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા હતા મુન્નાભાઇને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો. ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત મુન્નાભાઈ ચાવડાને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મુન્નાભાઇ વિજયભાઇ ચાવડા માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી તે પરત બાઈક લઈને પોતાના ઘરે પીપળી તરફ જતો હતો ત્યારે રસ્તામાં જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા કાર ચાલકે તેના બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મુન્નાભાઈને માથાના ભાગે અને પગે ઈજાઓ પહોંચી હતી. મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ બાદ તેને રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર મનિષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે મોરબીના કંડલા બાયપાસ ઉપર છેલ્લા બે દિવસમાં બે અકસ્માતો બન્યા છે જેમાં બે લોકોના મોત નિપજયા હતા તે જગ્યાએ અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા છે જેમાં નિર્દોષ લોકોના મોત નિપજેલ છે માટે સંલગ્ન નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ટ્રાફિક પોલીસ સહિતના સમગ્ર તંત્રએ આ અંગે સર્વે કરીને ઘટતી કાર્યવાહી કરીને નિર્દોષ માનવ જીંદગીઓને મોતના મુખમાં જતી બચાવવી જોઈએ.
યુવાન-મહિલા સારવારમાં
મોરબીના બરવાળા ગામનો કિશન જેસીંગભાઇ દેલવાડીયા નામનો ૩૨ વર્ષનો યુવાન વાહન લઈને જતો હતો ત્યારે મોડી રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થવાથી કિશનભાઇ દેલવાડીયાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જયારે મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા વીણાબેન કિરણભાઈ મનસુખભાઈ રાજપરા ગામની ૩૩ વર્ષીય મહિલાએ કોઈ ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ કરતાં ખુલ્યુ હતું કે ભોગ બનેલ વીણાબેનના સસરાએ ખેતરમાં છાંટવા માટે દવા ભરીને ગ્લાસમાં રાખી હતી તે દવા પીળા જયુસ જેવી લાગતી હોવાથી ભૂલથી જ્યુસ સમજીને વીણાબેન દ્રારા તે ગ્લાસમાંથી ખુંટડો ભરાઇ જવાથી ઝેરી અસર થવાથી તેમને તેમણે દવાખાને ખસેડાયા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
