વાંકાનેરના પાડધારા નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત
દારૂ બંધીનું સૂરસૂરિયું!: વાંકાનેર સિવિલના અધિક્ષક-પટાવાળાની મહેફિલના કાંડમાં આરોગ્ય વિભાગ તરફથી કોઈ એક્શન કેમ નહીં ?
SHARE
દારૂ બંધીનું સૂરસૂરિયું!: વાંકાનેર સિવિલના અધિક્ષક-પટાવાળાની મહેફિલના કાંડમાં આરોગ્ય વિભાગ તરફથી કોઈ એક્શન કેમ નહીં ?
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દસ દિવસ પહેલા દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતીના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની હાલતમાં મળી આવ્યા હતા અને અધુરામાં પૂરું સિવિલ અધિક્ષકની ઓફિસમાંથી મૂકેલા કબાટમાંથી દારૂની બોટલ મળી આવી હતી જેથી વિભાગીય નિયામકે મોરબી સિવિલના અધિક્ષક પાસેથી તાબડતોબ તપાસનો પ્રાથમિક અહેવાલ મંગાવ્યો હતો જો કે, ગુજરાતમાં દારૂબંધી છે તેનો છેદ જ ઉડાવી નાખે તેવી ઘટના વાંકાનેરની સિવિલમાં બની હોવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળા સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને મોરબી જીલ્લામાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે
મોરબી જિલ્લાની વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ રહે. બંને સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તા ૧૪/૪ ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક પોલીસ કર્મચારીઓને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ રાઠોડ નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમારની ઓફિસમાં રાખવામાં આવેલ કબાટમાંથી ગ્રેવિટી ગ્રીન એપલ ફ્લાવર્ડ વોડકાની અડધી બોટલ મળી આવી હતી જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળાની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી
ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતો અને મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા પાસેથી વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક પ્રાથમિક તપાસનો અહેવાલ માંગવામાં આવ્યો હતો જે અહેવાલના આધારે વિભાગીય નિયામક ડો. ચેતન મહેતા દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જે ઘટના સામે આવી હતી તેને લઈને વાંકાનેર સિવિલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ વિરુદ્ધ રાજ્યના આરોગ્ય વિભાગમાં તાત્કાલિક રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને વાંકાનેર સિવિલ હોસ્પિટલના દારૂ કાંડમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચર્ચાઇ રહ્યું હતું
જો કે, વિભાગીય નિયામકે સરકારના આરોગ્ય વિભાગમાં ધગધગતો રિપોર્ટ કર્યો હતો ત્યાર પછી પણ હજુ સુધી સરકાર દ્વારા વાંકાનેર સિવિલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે ગુજરાતમાં દારૂબંધીનું સૂરસૂરિયું થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે અને હાલમાં પણ વાંકાનેર સિવિલનો ચાર્જ દારૂના નશાની હાલતમાં પકડાયેલા અધિકારી પાસે જ છે જેથી કરીને વાંકાનેર સિવિલમાં આજની તારીખે પણ દવા-દારૂ ચાલુ છે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબાંધી છે તેના લીરેલીરા ઉડાવતી ઘટના પછી પણ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં કેમ લાજ કાઢવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ સિવિલમાં ડો. સોહૈલ ખોખર દારૂની બોટલ સાથે પકડાયા હતા ત્યારે બાદ તેની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા તો વાંકાનેરમાં હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ તપાસનો વિષય છે