મોરબી, માળિયા અને ટંકારામાં ૨૩ ટીમો દ્વારા વીજ ચેકિંગ: ૭૪ કનેક્શન ધારકોને ૩૬.૫૦ લાખનો દંડ
વાંકાનેર તાલુકામાં સરકારી શાળાના રાશનની ખરીદીમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડ !: પ્રમુખ, ડીડીઓ અને કલેકટર કેમ મૌન ?
SHARE
વાંકાનેર તાલુકામાં સરકારી શાળાના રાશનની ખરીદીમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડ !: પ્રમુખ, ડીડીઓ અને કલેકટર કેમ મૌન ?
મોરબી જિલ્લાના વાંકાનેરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવી અનેક બાબતો સામે આવી છે અને તેના પુરાવા પણ ઓડિટમાં બહાર આવેલ છે છતાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કેમ આ નાણાકીય ઉચાપત કે કૌભાંડની કોઈ નક્કર તપાસ કરવામાં નથી આવતી તે પણ એક તપાસનો વિષય છે ત્યારે સરકારી શાળામાં રાશનની ખરીદીમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે અને એક પછી એક નાણાકીય ગોટાળા, કૌભાંડ અને ઉચાપતના મામલા સામે આવે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કે ડીડીઓ આ બાબતે આગળની તપાસ કરાવીને નાણાકીય ઉચાપત કે કૌભાંડ કરનારા શખ્સોની સામે કાર્યવાહી કરશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે
રાજ્યમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ મળે તેના માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ખર્ચાઓ કરવામાં આવે છે અને જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવે છે પરંતુ કેટલાક તક સાધુઓના કારણે આ યોજનાઓનો વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચતો નથી અને વચ્ચે પોતે જ મલાઈ તારવી લેતા હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે વાંકાનેર તાલુકાની વાત કરીએ તો વાંકાનેર તાલુકા પંચાયતમાં કાર્યરત શિક્ષણ શાખા દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ ના સમયગાળા દરમિયાન અનેક પ્રકારે નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હોય તેવી બાબતો સામે આવી રહી છે અગાઉ જે વ્યક્તિઓના સરકારી ચોપડે શિક્ષક તરીકે નામ નથી તેવા ન ખાતામાં પગાર જમા કરવામાં આવ્યો હોય તેવી બાબતો સામે આવી હતી અને ઓડિટ કરવામાં આવ્યું તેમાં તે હક્કિત સામે આવેલ છે અને મોટા પ્રમાણમાં નાણાકીય ઉચાપત થઈ હોય તેવી માહિતીના આધારે તત્કાલીન ડીડીઓ દ્વારા આ બાબતે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને પણ પત્ર લખવામાં આવ્યો હતો જો કે, હજુ સુધી નાણાકીય ઉચાપત કરનારાઓની સામે ફરિયાદ નોંધવામાં આવેલ નથી
આટલું જ નહીં પરંતુ ત્યારબાદ તત્કાલીન ડીડીઓ દ્વારા મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં આવેલ તાલુકા પંચાયતોમાં કાર્યરત શિક્ષણ શાખામાં મૂકવામાં આવેલા શિક્ષકોને તાત્કાલિક અસરથી તેઓની મૂળ જગ્યાએ પરત મૂકીને શિક્ષણ શાખામાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કને મુકવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પણ જાણે કે શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓ તથા ટીડીઓ ઘોળીને પી ગયા હોય તેવી રીતે આ આદેશની અમલવારી પણ કરવામાં આવી નથી અને આજની તારીખે પણ મોરબી જિલ્લાની પાંચી તાલુકા પંચાયતમાં શિક્ષણ શાખામાં શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે તો ડીડીઓના આદેશની અમલવારી કેમ કરવામાં નથી આવતી તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સરકારી શાળામાં બાળકોના ભોજન માટે જે રાશનની વસ્તુઓ લઈ આવવામાં આવતી હોય છે તેમાં પણ મોટા પ્રમાણમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવું ચર્ચાઇ રહ્યું છે અને બાળકોના નામે સરકારી ચોપડે રાશનના બિલ ચડાવીને લાગુ પડતા અધિકારી અને કર્મચારી દ્વારા તે પૈસા હજમ કરી જવામાં આવ્યા છે જેથી કરીને આ બાબતે પણ નકર તપાસ કરવામાં આવે તે જરૂરી છે
સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રાશન ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યું છે કેમકે જે જગ્યાએથી રાશનના માલની ખરીદી કરવામાં આવી છે અને જે વેપારીનું બિલ આવેલું છે તે વેપારીના નામનો ચેક આપવાના બદલે અન્ય વ્યક્તિના નામનો ચેક આપીને આ રાશનની વસ્તુ ખરીદવામાં આવેલ છે તે પ્રકારનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે જો આ બાબતની ખરાઈ કરવામાં આવે તો ખરેખર વેપારી દ્વારા જ બિલ આપવામાં આવ્યું હતું કે કેમ ?, ચેકની રકમ કોના ખાતામાં ગઈ હતી?, કોને કેટલી રકમ મળી ? અને વેપારીને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? આ તમામ બાબતોની તપાસ કરવામાં આવે તો તેમાં પણ નાણાકીય ઉચાપત અને ગેરરીતિનો મામલો સામે આવે તેવી શક્યતા છે વધુમાં શિક્ષક વર્તુળો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વહીવટ બીઆરસી ભવન દ્વારા કરવામાં આવતો હોય છે તેમ છતાં પણ વાંકાનેર તાલુકા પંચાયતમાંથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વહીવટ માટે પૈસા લેવામાં આવ્યા હોય તેવી પણ બાબતો સામે આવી રહી છે ત્યારે એક પછી એક નાણાકીય ગેરરીતિ અને ઉચાપત તથા કૌભાંડના મામલા વાંકાનેર શિક્ષણ વિભાગમાં સામે આવી રહ્યા છે તો પણ જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ અને કલેકટર દ્વારા કેમ આળસ ખખેરીને નાણાકીય ગેરરીતિ કરનારાઓની સામે પગલાં લેવામાં આવતા નથી તેની પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવવાની જરૂર છે