મોરબી : સરકાર દ્વારા ફાળવેલ પ્લોટ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી બનાવ્યું ‘ઘરનું ઘર’
SHARE
મોરબી : સરકાર દ્વારા ફાળવેલ પ્લોટ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી બનાવ્યું ‘ઘરનું ઘર’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહ્યા પ્રમાણે “ઘર એ માત્ર પાકી છત નથી પણ આસ્થાનું એ સ્થળ છે જ્યાં સપનાઓ આકાર લેતા હોય છે” અને આ સપનાને આકાર આપતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના.આ યોજના અંતર્ગત ૧૨ મે એ મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગૃહ પ્રવેશ કર્યો હતો.
અમુક લાભાર્થી પરીવારોની કથની જોઇએ તો, પતરાના મકાનમાં ભાડે રહીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ટંકારા ગામના જાદવ દિનેશભાઇ લાલજીભાઇ પાસે છે હવે રહેવા માટે પાકું ‘ઘરનું ઘર’. આ સહાય પહેલા ભાડાના મકાનમાં વેઠવી પડતી મુશ્કેલીની વાત કરતા તે જણાવે છે કે, “ હું મારા પરિવાર સાથે અગાઉ ભાડે રહેતો હતો ત્યારે ત્રણેય ઋતુનો માર, મારે અને મારા પરિવારને વેઠવો પડતો હતો.પરંતુ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મને પ્લોટ ફાળવવામાં આવ્યો અને હવે આજ પ્લોટ પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવીને મારે ‘ઘરનું પાકું મકાન’ થયું છે. જેથી મારે મારા પરિવાર સાથે ભાડે રહેવું પડતું નથી અને ઋતુઓનો માર પણ સહન કરવો પડતો નથી.
ટંકારા ગામના પપ વર્ષનાં માછીમારીનો વ્યવસાય કરતા હાજી ભાઈને છે હવે રહેવા માટે 'ઘરનું ઘર'. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તેમજ મજૂરી કામ કરીને અગાઉ ભાડે રહેતા ટંકારા ગામના પપ વર્ષનાં ભટ્ટી હાજીભાઈ બચુભાઈ પાસે છે હવે રહેવા માટે પોતાનું પાકું મકાન તેઓ આ યોજનાના લાભથી ખૂબ જ ખુશ થઇને કહે છે કે, "અમારે રહેવા માટે કંઈ આસરો ન હતો. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અને ભાડાના મકાનમાં રહેતા હતાં. એ ભાડુ પણ અમને પડવડે નહીં એટલું હતું
આ પ્રસંગે ટંકારા ગામમાં રહેતા અજયભાઈ પરષોત્તમભાઈ ગેડિયાની મુલાકાત લેતા જાણવા મળ્યુ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમના પરિવારને ખુબ પચી છે. તેમને હસ્તા મુખે પોતાના ‘ઘરના ઘર’માં ગૃહપ્રવેશ કરી વૃક્ષારોપણ કર્યુ.તેઓ કહે છે કે, "અમારે ૪૦ વર્ષ જૂનું નળિયાવાળું સંયુક્ત માલિકીનું મકાન હતું. જેમા હું મારા સયુંકત પરિવાર સાથે રહેતો હતો.મારો પરીવાર ખૂબ મોટો છે અને હું એકલો મજૂરી કામ કરી કમાવવાવાળો.મારા લગ્ન થતા આ નાનકડા ઘરમાં વધુ સભ્યોના કારણે રહેવામાં સંકળાશ થતી હતી, મારું પોતાનું કોઇ ઘર હતું નહી અને મારી પાસે એટલી સગવડ પણ હતી નહી કે હું પોતાનું સ્વતંત્ર ઘર બનાવી શકું. કુટુંબના વધુ સભ્યોના કારણે થોડી જગ્યામાં અમને રહેવામાં મુશ્કેલી થતી હતી, એટલે મે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યુ કારણકે હું મારા ‘ઘરના ઘર’માં મારા પરિવાર સાથે આરામથી રહી શકું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મને મળેલ સહાયથી મારું આ સપનું સાકાર થયું છે જેના માટે હું સરકારનો ખૂબ આભારી છુ, કે મને રહેવા માટેની આટલી સગવડતા પૂરી પાડી. જેથી હું મારા પરિવારની સાથે પૂરતી સગવડતાથી રહી શકીશ અને મારા બાળકોનાં ભણવામાં પણ મોકળાશ રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી મોરબી જિલ્લાનાં અનેક પરિવારોનું 'ઘરનું ઘર'નું સપનું થયું છે સાકર.મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા જ્યોત્સનાબેન ભીખાભાઈ દેલવાડિયા ૧૦ સભ્યોનો એક પરિવાર છે. જેવો મજૂરી કામ કરવાની સાથે પોતાનું ઘર પણ સારી રીતે ચલાવી જાણે છે તેમને મજૂરી કામ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી મળી. તેઓ જણાવે છે કે, અમારા પરિવારમાં ૧૦ સભ્યો છે.અમારી પાસે રહેવા માટે મકાન ન હતું ત્યારે અમે ગામમાં ભાડે રહેતા હતા. જેના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે મને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ અને ફોર્મ ભર્યુ. જેના થકી આજે મારે રહેવા માટે ' ઘરનું ઘર ' છે. હવે અમે ભાડાના રૂપિયા બચાવીને બાળકોને સારી રીતે ભણાવી શકીએ છીએ." આ અંગે ગ્રામસેવક કાનાભાઇ એન.ગરચરના જણાવ્યા અનુસાર જ્યોત્સના બહેનનો પરિવાર નાના ઝુપડામાં રહેતા હતા.જ્યાં પાયાની પુરી સગવડતા મળતી નહી. જેના કારણે ઠંડી, ગરમી, વરસાદમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પણ હવે આવસ યોજનાની સહાયથી જ્યોત્સના બહેનનો પરિવાર સારા વાતાવરણમાં પુરતી સુખ સગવતા સાથે જીવન ગુજારે છે.
મોરબી તાલુકાના કાલિકાનગર ખાતે રહેતા પ્રેમજીભાઈ બોસીયા જણાવે છે કે હું અને મારા બાપ દાદા પહેલેથી અહીઓં વસવાટ કરીએ કહી છીએ અમારી આર્થિક સ્થિતી સારી ન હોવાથી ઘર બનાવી શકીએ તેમ ન હતા.અમે મજૂરી કરીને ઘરનું પોરાણ કરતાં હતા.પરંતુ આવાસ યોજનાથી પોતાની માલિકીનું સુખાકારી વાળું ઘર મળ્યું છે.
માળીયા તાલુકાના છેવાડાનું ગામ એવું બગસરા સુધી પહોંચી પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોનાં 'ઘરનું ઘર' સપનું સાકાર થયું છે. અગરિયામાં મજુરી કરતાં બગસરા ગામના લાભાર્થીના પત્ની પ્રભાબેન મનજીભાઈ વાઘેલા જણાવે છે કે, " અમે પહેલાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા, જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હતી તેમજ છોકરાઓનાં અભ્યાસમાં પણ મુશ્કેલીઓ થતી હતી. ચોમાસામાં પાણી પડવાથી વસ્તુઓ ખરાબ થતી હતી અને ઉનાળામાં ગરમીને સહન કરવી પડતી હતી. હવે સરકારની આ આવાસ યોજનાથી અમારે પાકા મકાન થયા છે. અમારું રહેવા માટેનું 'ઘરનું ઘર' થયું છે.જયારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા દેવશીભાઈ રાઠોડ જણાવે છે કે આવાસનો લાભ મળ્યા પહેલા અમારું રહેણાંક ગારમાટીનું કાચું નળિયાવાળું તેમજ ભયજનક સ્થિતિમાં હતું. જેથી ગમે ત્યારે જાનહાની થવાની ચિંતા રહેતી હતી.શિયાળાની ઋતુમાં નળિયાવાળું મકાન હોવાથી ખૂબ ઠંડી અનુભવાતી હતી.ઉનાળાની ઋતુમાં ખૂબ પવન અને ગરમીનો પરીવારે સામનો કરવો પડતો હતો.ચોમાસાની ઋતુમાં મકાનમાં ઘણી જગ્યાએથી પાણી પડતું હતું જેથી અમારી ઘર વખરી પલળી જતી હતી. અમને આવાસ યોજનાનો લાભ મળવાથી બારે માસ ઋતુ સામે રક્ષણ મળી ગયું છે.