નવતર પ્રયોગ: મોરબી જીલ્લા પંચાયતના ફિલ્ડમાં ગયેલા અધિકારી-કર્મચારીની વ્હોટ્સ એપ કોલથી લેવાશે હાજરી
મોરબીમાં મકાનમાંથી દારૂની ૭૬ બોટલ મળી, આરોપી ફરાર
SHARE
મોરબીમાં મકાનમાંથી દારૂની ૭૬ બોટલ મળી, આરોપી ફરાર
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૧૩ માં રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી પોલીસને જુદીજુદી બ્રાન્ડની ૭૬ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે રૂા.૨૫,૮૯૦ ની કિંમતનો દારૂ પકડીને ભાગી છુટેલા ઘરધણીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૧૩ માં રહેતા રફીક અબ્દુલ સેડાતના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી સ્ટાફના હિતેષભાઇ ચાવડા અને તેજાભાઇ ગરચરનેે મળતા પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી પોલીસને વિસ્કીની ૧૮ બોટલ કિંમત રૂપિયા ૬૭૫૦, વોડકા બોટલ નંગ ૪૩ કિંમત રૂપિયા ૧૪,૧૯૦ તેમજ વોડકા બોટલ નંગ ૧૫ કિંમત રૂપિયા ૪૯૫૦ એમ કુલ મળીને વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૭૬ બોટલ કિંમત રૂા.૨૫,૮૯૦ નો મુદ્દામાલ રહેણાંક મકાનમાંથી મળી આવ્યો હતો જો કે ઘરધણી રફીક અબ્દુલ સેડાત હાજર ન મળતા હાલ તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેતપર (મચ્છુ) ગામના રહેવાસી નાથાભાઈ દેવશીભાઈ અમૃતિયા નામના ૭૭ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રે મારૂતિ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા પોલીસે તપાસ હાથ કરી હતી અને ખુલ્યું હતું કે નાથાભાઈ અમૃતિયા પોતાના પુત્ર કાંતિભાઈ અમૃતિયાની સાથે જેતપરથી બાઈકમાં દેવળીયા ગામ બાજુ પોતાની વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇક સાથે રોજડુ અથડાતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં તેઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.હાલ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના રાજપર (શનાળા) ગામના રહેવાસી જીવીબેન વિરજીભાઈ મારવાણીયા નામના ૭૧ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઈજા થતા તેઓને અત્રે મારૂતિ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે જાણ થતા બીટ વિસ્તારના જમાદાર એન.જે.ખડિયાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે જીવીબેન પોતાના પુત્ર પ્રવીણભાઈની સાથે બાઈકમાં બેસીને પોતાની વાડી તરફ જતા હતા ત્યારે લજાઈના રસ્તે કેનાલની બાજુમાં તેઓનું બાઈકનું ટાયર અકસ્માતે ખાડામાં પડતા તેઓને થાપાના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા.