મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી જોવા-સમજવા માટે છત્તીસગઢના પોલીસ જવાનો પહોચ્યા
પોલીસની કોઇ બીક જ નહીં..! : મોરબીના રવાપર ગામે રૂપિયા ત્રણ લાખ વ્યાજે અપાવી વધુ પૈસા પડાવવાના ઇરાદે યુવાન અને તેના પિતા ઉપર છરી વડે હુમલો
SHARE
પોલીસની કોઇ બીક જ નહીં..! : મોરબીના રવાપર ગામે રૂપિયા ત્રણ લાખ વ્યાજે અપાવી વધુ પૈસા પડાવવાના ઇરાદે યુવાન અને તેના પિતા ઉપર છરી વડે હુમલો
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ગત મોડી રાત્રિના મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી રવાપર રેસીડેન્સીના ગેઇટ પાસે બે કારમાં આવેલ હુમલાખોરો દ્રારા યુવાન ઉપર છરી વડે માથા અને હાથના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને કારમાં બેસાડીને લઈ જવા પ્રયાસ કરવામાં આવતો હતો.ત્યારે યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા યુવાનના પિતાને પણ માર મારીને ઈજા પહોંચાડવામાં આવતા પિતા-પુત્રને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.સારવાર બાદ ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મોરબી શહેર અને જિલ્લામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવા બનાવો બની રહ્યા છે.જેમાં ગઈકાલે જ મોરબીના રવાપર રોડ ઉપર ફૂટવેરની દુકાનની અંદર ઘૂસીને યુવાનને માર મારવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને તે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.જોકે ગુનેગારોને પોલીસનો ભય જ ન હોય તે રીતે ગુના આચરી રહ્યા છે.તે હકીકત છે. તેવી રીતે જ મોરબીના ધારાસભ્ય દ્વારા તાલુકા વિસ્તારમાંથી બેફામ ગતિએ નંબર પ્લેટ વિના દોડતા ભારે વાહનો સામે લાલ આંખ કરીને પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.દરમ્યાનમાં વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સી નજીક આવેલ ઓમકાર હાઈટ ખાતે રહેતા નીલ ભરતભાઈ વસાણી જાતે લોહાણા (ઉમર ૨૯) અને તેના પિતા ભરતભાઈ અમૃતભાઈ વસાણી (ઉમર ૬૯) ને માર મારવામાં આવ્યો હોય અને બંનેને ઈજા પહોંચતા પિતા-પુત્રને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
સારવાર લીધા બાદ ભોગ બનેલ નીલ ભરતભાઈ વસાણીએ પોલીસને જણાવ્યું હતું કે, રવાપર ગામે રવાપર રેસીડેન્સી પાસેના ઓમકાર હાઈટમાં તેઓ રહે છે અને ભુંગળા-બટેકાનો ધંધો કરે છે.નીલના મિત્રએ પૈસા વ્યાજે લીધા હતા તેમા પોતે જામીન હોય તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી.નીલે પોલીસને જણાવ્યું હતુ કે પૈસાની જરૂર પડતા તેના મિત્રને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચા વાસમાં રહેતા જયરાજ ઉર્ફે જીગો ગોગરાએ વરૂણ ઉર્ફે ટીનો બોરીચા રહે.શનાળાનો પરિચય કરાવીને તેની પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજે લેવડાવ્યા હતા અને પોતે (નીલ) તેમાં જામીન હતો.જેમાં મિત્ર પૈસા ન ચુકવતા પોતે સમયસર વ્યાજ ચૂકવતો હતો છતાં પણ જયરાજ ઉર્ફે જીગો ગોગરા અને વરૂણ ઉર્ફે ટીનો બોરીચાએ વધુ પૈસા પડાવવા માટે બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરીને તેની પાસેથી બેંક ઓફ બરોડાના બે ચેક મેળવી લીધા હતા અને ગઈકાલે વધુ ધાક-ધમકી આપવા માટે રવાપર રેસીડેન્સીના ગેઇટ પાસે બોલાવ્યા બાદ તેને કારમાં બેસાડીને લઈ જવામાં આવતો હતો
જો કે તે જ સમયે એ ડિવિઝન પોલીસ મથકની પીસીઆર વાન ત્યાંથી નીકળતા આ સમગ્ર બાબતે ભોગ બનેલ નીલના પિતા ભરતભાઈ દ્વારા પોલીસને જણાવવામાં આવતા પોલીસને જોઇને બે કાર પૈકી એક કાર પકડાઇ ગઇ હતી જયારે સ્કોર્પીયો કાર ભાગી ગઇ હતી.આરોપીઓ ભાગી છુટયા હોવાનું જાણવા મળેલ છે.બાદમાં નીલ વસાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જયરાજ ઉર્ફે જીગો ગોગરાએ છરી વડે તેને માથાના ભાગે કાનની ઉપર ઇજા પહોંચાડી હતી અને હાથની આંગળીઓમાં પણ છરી વડે ઇજાઓ કરી હતી અને તેના ગળાના ભાગે છરી મૂકીને પિતા-પુત્રને ધમકીઓ આપી હતી.હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬, ૩૮૭, ૩૮૪, ૧૧૪ અને નાણા ધીરધાર એક્ટ હેઠળ જયરાજ ઉર્ફ જીગો ગોગરા રહે.બોરીચાવાસ મોરબી અને વરૂણ ઉર્ફે ટીનો બોરીચા રહે.શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.જેની આગળની તપાસ ડી-સ્ટાફ પીએસઆઇ કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે વારંવાર ઉપરોક્ત બનાવ જેવા ભારે બનાવો બનતા હોય પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યુ છે.કારણ કે હાલ શહેર અને જિલ્લામાં પોલીસની ધાક ઓસરી રહી છે તેવો પ્રજામાં અહેસાસ થઈ રહ્યો છે જે પોલીસના અસ્તિત્વ માટે લાલબતી સમાન છે.