હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર અપાયું
ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરના મેળામાં લોકો ફરીથી કરે છે લગ્ન: ત્રિદિવાસીય કાર્યકમ
SHARE
ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરના મેળામાં લોકો ફરીથી કરે છે લગ્ન: ત્રિદિવાસીય કાર્યકમ
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ પૂજય આપા પાલણપીરની મેડીએ ભાદરવા વદ નોમ-દશમ-અગિયારસના દિવસોમાં દર વર્ષે મેળો ભરાય છે. આ પૌરાણિક મેળામાં લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજો આ મેળાનું અનેરું આકર્ષણ છે. આ મેળામાં પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્યા છે. આ સિદ્ધ સંત પરમ પુરૂષની વાણીથી સમાજને સતત પ્રેરણા મળતી રહી છે. તેમણે બારમતી સંપ્રદાયની સ્થાપના કરી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે.
પાલણપીરની સિદ્ધિની વાતો સાંભળી તત્કાલીન સમયમાં લોકો પોતાની ક્ષુદ્રવાસનાની પૂર્તિ માટે તેમની પાસે આવતા જેથી કંટાળી તેમણે દેહ છોડવાનો નિર્ણય કર્યો. સમીય જાણી હડમતીયા ગામથી પૂર્વ તરફ સમાધિ ગળાવી ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા. સંવત ૧૧૪૪ ભાદરવા સુદ ચોથને શુક્રવારે આ રીતે પાલણપીરે સમાધિ લીધી. તેમના પચાસ ભકતોને ખબર પડતા સમાધિસ્થાને અવિરત નકોરડા ઉપવાસ કરી પાલણપીરની સાધના-આરાધના કરતા એકવીસ દિવસના અંતે પૂજય પાલણપીર ભાદરવી વદ નોમના પુનઃ પ્રગટ થયા અને સૌને આશીર્વાદ આપ્યા હતા
આ ઘટનાની સ્મૃતિમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ નોમ એમ એકવીસ દિવસ સુધી ‘બારમતી સંપ્રદાય’ ના અનુયાયીઓ ઉપવાસ કરે છે અને પછી સાડા ત્રણ દિવસ સુધી મેળા સ્વરૂપે એકઠા થઇ પાલણપીરદાદાની સમાધિએ વેદોનું પઠન કરે છે. આ મેળામાં જવા માટે લોકો આઠમથી જ વાંકાનેર નજીકના જડેશ્વર મંદિરે પહોંચી જાય છે, ત્યાં રાતવાસો કરી નોમના દિવસે સવારે આસ્થાભેર જાત્રા આરંભે છે અને ઘરેથી લાવેલ ભાથામાંથી ભોજન કરી હડમતીયા પાલણપીરની મેડીએ જવા રવાના થાય છે. રસ્તામાં કોઠારીયા ગામથી થોડે દૂર ‘પરોળ’ આવે છે. એવી શ્રધ્ધા છે કે અહીંથી વીણેલા સફેદ પાણા-પથ્થર-પરોળની કમાઇ કરનારના ઝીંડુરતન માંડવગઢમાં જમા થાય છે. પરોળને ચાર આંટા ફરતા ફરી સતજુગની સ્થાપના થશે એવી શ્રધ્ધા સાથે લોકો પાલણપીરની મેડીએ જવા રવાના થાય છે અને સંધ્યા સમયે ત્યાં પહોંચે છે. એકવીસ દિવસના ઉપવાસ કરનારા લોકો ધુપ ધ્યાન કરી પારણા કરે છે. પછી ભોજન કરી રાતે વેદવાણીનું રસપાન કરે છે.
સવારે દશમના દિવસે લોકો કપુરીયા કુંડમાં સ્નાન કરી જાણ્યે-અજાણ્યે પોતાનાથી થયેલા પાપમાંથી મુકિત મેળવે છે. ત્યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. વેદ પ્રમાણે સરગપાવડી એ સ્વર્ગે જવાના પગથીયા છે. અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે બગથળા જવા રવાના થાય છે અને ત્યાં પહોંચી લગ્ન કરવામાં આવે છે. કોર્ટમાં, મંદિરમાં કે ફુલહારથી લગ્ન કર્યા હોય તે બધાના અહી ફરીથી લગ્ન કરવામાં આવે છે. અને આ લગ્ન વિધિમાં પણ ફૂલની જગ્યાએ નાના પથ્થર ફેંકવાનો રિવાજ છે. આ લગ્નવિધિ કર્યા બાદ લોકો હડમતીયા ગામના પાદરમાં પાછા આવે છે અને માત્રાપીરે પાતાળમાંથી લાવેલી બે ખાંભીઓની પરીક્રમા કરી પાલણપીરની મેડીઓ પાછા પહોચે છે અને આ રીતે આ ધર્મયાત્રા પુર્ણ થાય છે