મોરબીના ધારાસભ્ય લોકોને માત્ર ગલગલિયા ન કરે, પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓના નામ આપે: કોંગ્રેસ
SHARE
મોરબીના ધારાસભ્ય લોકોને માત્ર ગલગલિયા ન કરે, પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓના નામ આપે: કોંગ્રેસ
મોરબીના ધારાસભ્ય વારંવાર નગરપાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ માંગી છે એવી વાતો કરીને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેવું કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કરેલ છે અને કહ્યું છે કે, જો ખરેખર તપાસ કરવી હોય તો સરકાર પણ તમારી છે, પાલિકા પણ તમારી છે તો પછી તપાસમાં આટલી બધી વાર કેમ લાગી રહી છે તે પણ તપાસનો વિષય છે
મોરબીની એ ગ્રેડ નગરપાલિકા જાણે કે હાલ ડી ગ્રેડમાં હોય તેવી પ્રજાને અનુભૂતિ થાય છે કેમ કે, ગત ચૂંટણીમાં પ્રજાએ ભાજપ પર વિશ્વાસ રાખી પૂર્ણ બહુમતી એટલે કે, તમામ બાવાને બાવન બેઠક ભાજપને આપી હતી પરંતુ ભાજપના સદસ્યની આવડત અને ભ્રષ્ટાચાર આચરવાના મનસુબા સાથે વહીવટ કરવામાં આવ્યો હતો જેથી કરીને ભાજપના જ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર પત્રકાર પરિષદમાં નગરપાલિકાના સ્વભંડોળ સાવ ખાલી છે અમે પ્રજાને પૂરી સુવિધા આપી શકતા નથી તેવું કહીને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે તપાસ કરશું તેવી કહીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને કુલડીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે
જો ખરેખર મોરબીના ધારાસભ્ય ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરાવવા માગતા હોય તો હાલ ગુજરાતમાં ભાજપની સરકાર છે, નગરપાલિકામાં કહ્યાગરા અધિકારીઓને મૂકવામાં આવ્યા છે તો તેમણે ફક્ત અને ફક્ત હુકમ કરીને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેઓના નામ જાહેર કરી તેમની સામે ખુદ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરવી જોઈએ જો કે તાજેતરમાં ધારાસભ્યએ પત્રકારોને કહ્યું હતું કે, “મે સંકલનની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે” તો જો તેમને ખરેખર રજૂઆત કરેલ હોય તો લેખિત પુરાવા રૂપે મીડિયા અને વર્તમાનપત્રોમાં તેની કોપી આપવી જોઈએ બાકી સસ્તી લોકપ્રિયતા મેળવવા વારંવાર વિડીયા, ઓડિયો અને પત્રકાર પરિષદ કરી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ
પાલિકા દ્વારા નંદીઘર અને સ્ટ્રીક લાઈટ ઉપરાંત રોડ રસ્તા અન્ય ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોરબીની પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા ઉપરાંત ગ્રાન્ટના રૂપિયા પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે તે બહાર આવે તેવી શકયતા છે બાકી ભાજપની સ્ટાઇલ પ્રમાણે લોકોને ગલગલીયા કરવાનુ બંધ કરો અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કલમ ૪૫ (ડી) નો ગેર ઉપયોગ કરી લાખો રૂપિયાના કામમાં ભ્રષ્ટાચાર આચરેલ છે તેના પૈસા વસૂલ કરવામાં આવે અને ભાજપના ચૂંટાયેલા સદસ્યઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મન મક્કમ કરી ભ્રષ્ટાચારીઓના નામ જાહેર કરો તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુબિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગ કરી છે