માળીયા(મિં.) ખાતે સારવાર દરમિયાન સગીરાનું મોત, બીમારી સબબ કે અન્ય કોઈ કારણ: તપાસ શરૂ
SHARE
માળીયા(મિં.) ખાતે સારવાર દરમિયાન સગીરાનું મોત, બીમારી સબબ કે અન્ય કોઈ કારણ: તપાસ શરૂ
મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં માળીયા શહેર વિસ્તારમાં રહેતા પરિવારની ૧૬ વર્ષની દીકરીને ગત તા.૨-૧ ના રોજ પેટમાં દુખાવો પડ્યો હતો.જેથી તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં રાજકોટ ખાતે યુવતીનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.યુવતીને ડેન્ગ્યુની બીમારીને લીધે દવા લીધી હતી તેના ઓવરડોઝના લીધે મોત નીપજ્યું છે..? કે અન્ય કોઈ કારણ છે..? તે દિશામાં આગળની તપાસ માટે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
માળીયા મીંયાણામાં રહેતા પરિવારની ૧૬ વર્ષની દીકરીને ગત તા.૨-૧ ના રોજ પેટમાં દુખાવો પડ્યો હતો અને તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી.ત્યાં તેણીની સોનોગ્રાફી કરવામાં આવતા પ્રેગ્નન્સી હોવાની તબીબને શંકા ગઈ હતી અથવા તો પ્રેગ્નન્સી હોય અને મિસકરેજ થયું હોય તેવું તબીબને લાગ્યું હતું.જેથી આ બાબતે માળિયા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીને ડેન્ગ્યુની બીમારી હતી અને તેની દવા લેવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું છે.મૃતક યુવતીનું મોત ડેન્ગ્યુની બીમારી સબબ થયેલ છે..? કે અન્ય કોઈ બાબત છે..? તે જાણવા માટે મૃતક યુવતીના પીએમ રિપોર્ટની હાલ રાહ જોવાઈ રહી છે તેમ માળિયા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
એસિડ પી જતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસેના મહાકાળી આશ્રમની પાસે રહેતો મનોજ ભીખાભાઈ નાથજી નામનો ૨૬ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલ હરેશભાઈ ભારાભાઈ રાતડીયા (ઉંમર ૪૩) રહે.નવા વાંકડા રાજકોટ વાળાનું બાઇક મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ બાપાસીતારામ હોટલ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા હાલતમાં હરેશભાઈ રાતડીયાને મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો હાલ આ બનાવ અંગે જાણ થતા તે બીટ વિસ્તારના તાલુકા પોલીસ મથકના જમાદાર જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીમાં રહેતા અર્જુન યાદવ નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે પોલીસ હેડકવાટર પાસે કોઇ અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાઇ હોવાનું હાલ તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.









