મોરબી જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લાના ખાખરેચી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની હાજરીમાં ઉજવણી કરાઇ
SHARE
મોરબી જીલ્લાના ખાખરેચી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની હાજરીમાં ઉજવણી કરાઇ
મોરબીના માળીયા તાલુકામાં આવેલ સત્યાગ્રહની ભૂમિ એવા ખાખરેચી ખાતે ૭૫ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે માળીયા તાલુકાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વંદે માતરમ્ ના નારા સાથે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તિરંગો અમારી આન બાન શાન અને જાન છે. ખાખરેચીની આ ભૂમિ સત્યાગ્રહ સેનાનીઓની ભૂમિ છે. આ વીરોએ દેશને આઝાદી અપાવવામાં માટે પોતાનું યોગદાન આપ્યું હતું. એ વીરોની સાથે દેશની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને શહાદત વહોરનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું આ પ્રસંગે લાખ લાખ વંદન કરું છું. અમૃત કાળમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જન જન સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અડગ લક્ષ્ય સાથે અંત્યોદય સુધી વંચિતોને તમામ યોજના પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામ ક્ષેત્રે ગુજરાત આગળ વધી નવી દિશા કંડારી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રામ રાજ્યની કલ્પના આજે રાષ્ટ્રમાં સાકાર બની છે. રામ લલા અયોધ્યામાં પધાર્યા છે ત્યારે વસુધૈવ કુટુંબનો નારો સમગ્ર વિશ્વને મળ્યો છે. તમામ લોકોને તેમણે આદર્શ મૂલ્યો, આદર્શ જીવન, ત્યાગ અને સમર્પણ અપનાવી રામ રાજ્ય લાવવા જણાવ્યું હતું. આદર્શ જીવન જીવનારા અને કણ કણમાં બિરાજતા શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે ને વિશ્વને હકારાત્મક ઊર્જા સાથે વિશ્વ શાંતિનો સંદેશ મળ્યો છે આમ સત્ય જ શ્રેષ્ઠ છે, એમ ભારતે સાર્થક કર્યું છે. વિકાસના પથ પર સવા સો કરોડ ભારતીયોના એક ડગલે ભારત સવા સો કરોડ ડગલા આગળ વધી રહ્યું છે અને વિકસિત રાષ્ટ્ર બની રહ્યું છે. આપણું ભારત આધુનિકતાની સાથે સાંસ્કૃતિક ધરોહરને સાથે લઈને આગળ વધી રહ્યું છે. અહીં ટેકનોલોજી સાથે સદભાવના છે તો પૂર્ણ વિકાસની નેમ સાથે માનવતા પણ છે, મોરબી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દુનિયાના નકશા પર ટાઈલ્સ બનાવવામાં મોરબી પ્રથમ નંબરે છે. ટાઈલ્સનું ૮૦ ટકા ઉત્પાદન મોરબીની ધરતી પર થાય છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી. પંડ્યા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા તેમજ અન્ય રાજકીય આગેવાનો અને જિલ્લાના પદાધિકારી તેમજ અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ ખાખરેચીના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.