હળવદના ચાડધ્રા ગામે ઈશબગુલના પાકમાં દવાનો છંટકાવ કરાતા મોટું નુકશાન
SHARE
હળવદના ચાડધ્રા ગામે ઈશબગુલના પાકમાં દવાનો છંટકાવ કરાતા મોટું નુકશાન, ખેડૂતો મુંઝવણમાં મૂકાયા: વળતર ચૂકવવા માંગણી
હળવદ તાલુકામાં એગ્રો ધારકો દ્વારા ખેડૂતોને પાકમાં છંટકાવ કરવા માટે દવાઓ આપતા હોય છે અને જે દવાઓનો ખેડૂતો પોતાના પાકમાં છંટકાવ કરતા હોય છે. ત્યારે તાલુકાના ચાડધ્રા ગામે સુરેશભાઈએ ગત તા.5 ડિસેમ્બરના રોજ નીંદામણ નાશક દવા હળવદની એગ્રોમાંથી ખરીદી હતી જે દવા આ ખેડૂતે પોતાની વાડીમાં 10 વિઘાના ઈશબગુલના પાકમાં છંટકાવ કર્યો હતો.
પરંતુ નીંદામણ નાશક દવાની આડઅસર થતા ઈશબગુલ જીરૂ સુકાઈ ગયું હતું અને જેને લઈને ખેડૂતને આશરે 4 લાખથી વધુનું નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હળવદ ખાતે આવેલી એગ્રોમાંથી માલણીયાદ, ચાડધ્રા, ઘાંટીલા, સરા સહિતના ગામોના ખેડૂતો દવા ખરીદી હતી અને બધા ખેડૂતોને આજ રીતે પાકોમાં નુકસાન થયું હતુ. જેને લઈને ખેડૂત સુરેશભાઈએ ગ્રાહક સુરક્ષામાં રજૂઆત પણ કરી છે.
હળવદ શહેરમાં એસબીઆઈ બેંક સામે આવેલી ગાંધી એગ્રોમાંથી આ નીંદામણ નાશક દવા ખરીદી હોવાનું ખેડૂતો દ્વારા બીલ રજૂ કરવામાં આવ્યુ હતું અને હાલ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને વળતરની આશ લગાવી બેઠા છે. જોકે ખેડૂતોને કયા રોગમાં કઈ દવા ઉપયોગમાં લેવાય છે તેની જાણકારી ન હોવાથી એગ્રો ધારકો મનફાવે તેવી દવાઓ પધરાવી દેતા હોય છે. જેને લઈને પણ નુકસાન થતા હોવાના દાખલાઓ સામે આવ્યા છે.