મોરબીના હરીપર ગામનો બનાવ : ન્હાતા સમયે પાણીની મોટરને હાથ અડી જતા ૧૩ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના હરીપર ગામનો બનાવ : ન્હાતા સમયે પાણીની મોટરને હાથ અડી જતા ૧૩ વર્ષના બાળકનું મોત
મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે ગોજારો બનાવ બન્યો હતો.જેમાં નાહવા માટે ચોકડીમાં બેઠેલા બાળકનો હાથ બાજુમાં પડેલ પાણીની ઇલેક્ટ્રિક મોટરને અડી જતા શોટ લાગ્યો હતો.જેના લીધે તે બાળકનું મોત નીપજત્તા હાલ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર (કેરાળા) ગામે રહેતા બાબુભાઈ ઝાપડાનો તેર વર્ષનો પુત્ર નવઘણ તેના ઘરે તા.૨૬-૨ ના ૧૧ વાગ્યાના અરસામાં નાહવા માટે ચોકડીમાં બેઠો હતો ત્યારે નાહતા સમયે તેનો હાથ બાજુમાં પડેલ પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરને અડી ગયો હતો.જેથી ઇલેક્ટ્રિક શોટ લાગવાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં નવઘણ બાબુભાઈ ઝાપડા નામના ૧૩ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બાદમાં તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.આ બનાવની હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી અને હાલ આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાયેલ છે.
સાપ કરડી જતા બાળકી સારવારમાં
હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતા પરિવારની રાજેશ્વરીબેન સુરેશભાઈ સેમોત નામની સાડા ચાર વર્ષની બાળકીને વાડી વિસ્તારમાં સાપ કરડી ગયો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.અહીં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે જાણ કરી હતી.
મારામારીમાં ઈજા થતાં બે યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ નજીક એસકોન સિરામિક નામના યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવની અંદર ઇજાગ્રસ્ત થયેલા બળદેવભાઈ કેસરભાઈ (ઉમર ૩૮) તેમજ વિક્રમ દિનેશભાઈ ઝંઝવાડીયા (ઉંમર ૨૨) રહે.બંને માટેલ તા.વાંકાનેર ને ઇજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં તેઓની સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
વાહન અકસ્માતમાં આધેડ ઇજાગ્રસ્ત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઇજા પામેલા હાલતમાં તેઓને સારવાર માટે મોરબી ખસેડાતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરી હતી.