મોરબી કલેક્ટર કચેરીમાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ: વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરાયા
SHARE









મોરબી કલેક્ટર કચેરીમાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ: વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરાયા
આદર્શ આચારસંહિતાને અમલી બને તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને જિલ્લાના વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી.
હાલમાં કલેક્ટર દ્વારા જે બેઠક યોજવામાં આવી હતી તેમાં રાજકીય પક્ષો સાથે મંડપ, લાઉડ સ્પીકર, વાહનો, હોર્ડિંગ વગેરે અંગેના રેટ ચાર્ટ, ખર્ચ અને હિસાબો ઉપરાંત આદર્શ આચાર સંહિતા અમલીકરણ અને તેના હેતુઓ વગેરે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી રેટ ચાર્ટમાં વિવિધ રેટ પણ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, બીએસએનએલ, આરટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુદ્રણ અને પ્રકાશન પર નિયંત્રણ
ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઈ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧ર૭ (ક) પર નિયંત્રણ રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને હવે છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે.
સૂત્રો કે ભીંત ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ
ગુજરાત રાજયમાં તા.૭/૫ ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. જેથી હાલમાં ચૂંટણી પંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા માટે જિલ્લા મેજસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરીએ જાહેરનામું બહાર પાડી ફરમાવેલ છે કે, સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં. કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.

