મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી પકડાયેલ નસીલી સીરપની બોટલોના ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ
SHARE









મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી પકડાયેલ નસીલી સીરપની બોટલોના ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી બાતમીના આધારે પોલીસે નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર જેટલી બોટલો ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી પકડી પાડી હતી અને જે તે સમયે એક શખ્સની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને રાજકોટના ટ્રાન્સપોર્ટરની શોધખોળ ચાલુ હતી અને આ કેસની ક્રોસ તપાસ મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી. દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપી એવા રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ ભરવાડની ધરપકડ કરવામાં આવેલ છે.
વધુમાં આ બાબતે મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર બોટલો કિંમત રૂા.૨૦,૫૪,૮૦૦ તથા એક મોબાઇલ ફોન ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૨૦,૫૯,૮૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી આશીફ આમદભાઇ સીપાઇ રહે.વાવડીરોડ ભારતપાન વાળી શેરી મોરબી વાળાની જે તે સમયે અટકાયત કરવામા આવી હતી અને તેની પુછપરછમાં ગોપાલ પરબતભાઇ ભરવાડ રહે.રાજકોટ નવાગામ વાળાનું નામ ખુલતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો અને ગોપાલ ભરવાડ પકડવાનો બાકી હતો.
આ ગુનાની તપાસ મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા ચલાવી રહ્યા હોય રેંજ આઇજી અશોકકુમાર યાદવની સુચના અને જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરીને આ કેસના ફરાર આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નંબર ૪ તા.જી.રાજકોટને શોધી કાઢીને તા.૧૮ ના સાંજના પાંચ વાગ્યે ધરપકડ કરવામા આવેલ છે.તેમજ ગુનાના મુળ સુધી પહોંચવા અટક કરવામાં આવેલ ગોપાલ ભરવાડની આગવી ઢબે પુછપરછ ચાલુ કરવામાં આવી હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.
રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ગવાયેલ બે યુવાન સારવારમાં
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા જેપી ફાર્મ સામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ઇજા પામેલ રાધેશ્યામ માંગીલાલ ગરેવાલ (૨૮) રહે.રાજપર તાલુકો જીલ્લો મોરબી અને દેવેન્દ્રસિંહ અજીતસિંહ રાણા (૨૯) રહે.ગાંધીનગર (અમદાવાદ) વાળાઓને ઇજાઓ થતા બંનેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ફીનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના રાજપર ગામે રહેતા હનીફભાઈ ઇબ્રાહીમભાઇ દરજા નામના ૫૫ વર્ષના આધેડે મોરબીના ગાંધી ચોક નજીક કોઈ અગમ્ય કારણોસર તા.૧૮ ના વહેલી સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું.જેથી તેમને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

