માળિયા મીંયાણા નજીક હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હેડફેટ લેતા બાળકીનું મોત : માતા-પુત્ર સારવારમાં
ટંકારાના ઘુનડા ગામે વાડીએ અજાણ્યો પદાર્થ પી જતા વૃદ્ધનું મોત
SHARE
ટંકારાના ઘુનડા ગામે વાડીએ અજાણ્યો પદાર્થ પી જતા વૃદ્ધનું મોત
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા અને વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યો પદાર્થ પી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતુ.જેથી ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને મોરબી પોલીસે ટંકારા પોલીસની જાણ કરતા હવે ટંકારા પોલીસ આગળની તજવીજ શરૂ કરશે તેમ જાણવા મળેલ છે.
આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા મનસુખભાઈ રૂપાભાઈ પાટડીયા નામના ૬૬ વર્ષના વૃદ્ધએ તા.૮ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં તેઓની વાડીએ કોઈ અજાણ્યો પદાર્થ પી લીધો હતો.જેથી કરીને તેઓનું મોત નીપજત્તા ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યું હતું.અહીંથી બનાવ અંગે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ ટંકારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલ હોવાથી આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.
ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં
મોરબીના રાજપર ગામે આવેલ નેસ્ટ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ગોલુભાઇ શિવભાઈ વણઝારા નામના ૩૦ વર્ષના યુવાનને ગઈકાલ તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં કંપનીમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી દ્વારા બનાવની નોંધ કરીને તે અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા શાંતિબેન રામજીભાઈ નકુમ નામના ૫૭ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ નાની કેનાલ નજીક કુવાની પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે બાપાસીતારામ મઢુલીવાળી શેરી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ કરશનભાઈ સોલંકી નામના ૩૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયા બાદની મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા મારામારીના બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.