મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમાં રહેતા જેઠની લાજ કાઢવાનું કહેવા બાબતે બે ભત્રીજા અને સગા ભાઈએ મોટાભાઈ તેમજ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર મારતા ઈજા પામેલ પિતા-પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની ભોગ બનેલા યુવાને તેના સગા કાકા અને બે પિતરાઇ ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવામાં માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતા સાગરભાઇ નાનજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૮)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતરાઈ ભાઈ મયુરભાઈ ધનજીભાઈ પરમાર (૩૦), શામજીભાઈ મૂળજીભાઈ પરમાર (૩૪) અને સગા કાકા ધનજીભાઈ ગોવિંદભાઈ પરમાર (૬૨) રહે. બધા ભવાનીનગર અમરેલી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના પિતા નાનજીભાઈ પરમાર (૬૮) ઘરે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને તેના પિતાને કહ્યું હતું કે “તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનું કહો છો” અને બાદમાં ફરિયાદી અને તેને પિતાને ગાળો આપી હતી અને ત્યારબાદ બોલાચાલી કરીને શામજીભાઈ તથા ધનજીભાઈએ ફરિયાદી અને તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે મયુરભાઈ પરમારે લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો અને તેના પિતાને પણ માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને તેના બે પિતરાઇ ભાઈ અને કાકાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









