વાંકાનેરના જામસર ગામે ખેતર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી: હત્યાની આશંકા
મોરબી નજીક પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીના બે દિવસ રિમાન્ડ મંજૂર
SHARE
મોરબી નજીક પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીના બે દિવસ રિમાન્ડ મંજૂર
મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાંથી મહિલાની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.જેથી કરીને મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ પરિણિત મહિલાની હત્યા તેના જ પરણિત પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને મહિલાએ તેને બંને બાજુએથી ફસાવી દેવાની ધમકી આપી હતી.જેથી પરણિત પ્રેમીએ મહિલાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.હત્યાના આ ગુનામાં પકડાયેલ આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિવસના રિમાંડ મંજુર કરતા પોલીસે હત્યા કેસના તાણાવાણા ઉકેલવા વધુ તજવીજ શરૂ કરી છે.
મોરબીમાં થયેલ મહિલાની હત્યાના બનાવમાં થયેલ ડિટેકશનની માહિતી આપતા ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યુ હતું કે, જે મહિલાની બોડી મળી હતી તે મહિલાના ડાબા હાથમાં હિન્દીમાં "સુનીતા" અને "ભુરૂભાઇ" તેમજ મોરનુ ચિત્ર ત્રોફાવેલ હતુ.તેના સિવાય બીજી કોઈ વસ્તુ ઓળખ થાય તેવી ન હતી.જેથી કરીને પોલીસ માટે મહિલાની ઓળખ કરવી અને આરોપીને શોધવા બને કામ ચેલેન્જ જેવા હતા.જો કે, મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસે આસપાસના ખેતરો તેમજ કંપનીઓમાં તપાસ કરી હતી.દરમ્યાન સોશિયલ મિડીયામાં મૃતક મહિલાના ફોટો વાઇરલ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય રાજયના સરપંચો સુધી મૃતક મહિલાના ફોટો પહોંચાડવા પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી જે દરમિયાનમાં મૃતકના પતિ સુધી તે ફોટા પહોચ્યા હતા અને મૃતક મહિલાના પતિ નિલેશભાઇએ મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજાને ફોન કરીને કહ્યું હતું કે આ લાશ તેની ગુમ થયેલ પત્ની સુનિતાની છે.જેથી પોલીસને ગુનાના ડિટેકશન માટેની કડી મળી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પતિએ કહ્યું હતું કે, તેની પત્નીને તેનો પ્રેમી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને ગયેલ છે.જેથી પોલીસે કુલસિંગ રાઠવાને શોધવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે તેને પકડીને પુછપરછ કરતા તેણે જ સુનિતાનું મર્ડર કર્યુ હોવાની કબુલાત આપી હતી.જેથી હત્યનો ભેદ ઉકેલાતા ગુનામાં આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસી (૩૦) ની પોલીસે ધરપકડ કરી હતી.
વધુમાં આરોપીએ પોલીસને જણાવ્યુ હતું કે, મૃતક મહિલા સુનીતા સાથે તેને પ્રેમસબંધ હતો અને બેથી ત્રણ મહિના સુધી બંનેએ ફોનમાં વાતો કહી હતી. ત્યાર બાદ બંને ચોટીલાના લાખણકા ગામે આવ્યા હતા અને ત્યાં રહેતા હતા. તેવામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.જેથી સુનિતાએ ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને વાડી માલીકને તેની જાણ થતાં તેને વાડીએ રહેવાની ના પડી હતી. અને સુનિતાએ કુલસિંગને બંને બાજુએથી ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી તેની હત્યા કરવાનું કુલસિંગે મન બનાવી લીધું હતું અને લીલાપર ગામ પાસેની વાડીએ આરોપીના સગાઓ પત્ની સાથે રહેતા હતા.તેથી સુનિતાને ત્યાં લઈ જઈ શકે તેમ ન હતો.જેથી તેની કેનાલના નાલા નીચે ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.જેથી અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવેલ છે અને પ્રેમિકાની હત્યા કરનારા આરોપી કુલસીંગ રાઠવાની પોલીસે ધરપકડ કરી છે.આરોપીના રિમાંડ લેવા તેને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિવસ માટે રીમાંડ ઉપર લેવા હુકમ કરેલ છે.
જો કે, સુનિતાની હત્યા થવાના લીધે તેના સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવેલ છે અને આરોપી કુલસીંગ રાઠવા પણ પરિણિત હોય તેની હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.જેથી કરીને તેના સંતાનોએ પણ હાલ પિતાની છત્રછાયા ગુમાવેલ છે.આમ એક સાથે બે પરિવારના માળા વીંખાઈ ગયેલ છે અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીને રિમાંડમાં લઇને પોલીસે હત્યા કેસના તાણાવાણા જાણવા અને બનાવમાં અન્ય કોઇ સામેલ છેકે કેમ..? તે સહિતની બાબતોએ આગળની તજવીજ શરૂ કરેલ છે.