મોરબીના રવાપર પાસે ઓમ પાર્કમાં યુદ્ધે ચડેલા ખુટીયાઓએ ચાર ગાડીમાં કર્યું નુકસાન
SHARE
મોરબીના રવાપર પાસે ઓમ પાર્કમાં યુદ્ધે ચડેલા ખુટીયાઓએ ચાર ગાડીમાં કર્યું નુકસાન
મોરબીના રવાપર ગામ નજીક આવેલ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પાસે રાત્રિના સમયગાળા દરમિયાન યુદ્ધે ચડેલા ખુટીયાએ એક કે બે નહીં પરંતુ ચાર ગાડીઓમાં નુકસાન કરેલ છે જેથી કરીને સોસાયટી વિસ્તાર અને શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં રજડતા ઢોર કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા આ રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર દિવસેને દિવસે રજડતા ઢોરનો આતંક વધી રહ્યો છે અગાઉ રજડતા ઢોર યુદ્ધે ચડ્યા હોય તેના કારણે નિર્દોષ લોકોને ઈજા થઈ હોય અને રજડતા ઢોરે હડફેટે લેતા નિર્દોષ વ્યક્તિનું મોત નીપજયું હોય તેવી ઘટનાઓ પણ મોરબી શહેરમાં બની ચૂકી છે તેમ છતાં પણ રજડતા ઢોરને ડબે પુરવા માટે થઈને નક્કર કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી નથી. જેના કારણે રજડતા ઢોરના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય, શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામ થતા હોય તથા ગંદકી થતી હોય તેવું જોવા મળે છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ રજડતા ઢોરને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
દરમિયાન ગઈકાલે રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં મોરબી નજીકના રવાપર ગામ પાસે સૂર્યકિર્તી સોસાયટીની બાજુમાં આવેલ ઓમપાર્ક વિસ્તારમાં રજડતા ખુટીયા યુદ્ધે ચડ્યા હતા અને આ યુદ્ધે ચડેલા ખુટીયાએ ત્યાં પાર્ક કરવામાં આવેલ એક કે બે નહીં પરંતુ ચાર ગાડીઓ જેમાં ઇનોવા, અલ્ટો, સ્વિફ્ટ સહિતની કારનો સમાવેશ થાય છે અને આ ચારેય કારમાં બમ્પર, દરવાજા કાચ વિગેરેમાં નુકસાન કર્યું છે.
સદનસીબે રાતના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી અને શેરી કે સોસાયટીમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા પરંતુ જો કોઈ નિર્દોષ વ્યક્તિ શેરી કે સોસાયટીમાં હાજર હોય અને આ યુદ્ધે ચડેલા ખુટીયા હડફેટે લે અને તેનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરના દરેક સોસાયટી વિસ્તાર અને મુખ્ય માર્ગો ઉપરથી રજડતા ઢોરને વહેલા વહેલી તકે પાલિકા દ્વારા પકડવામાં આવે તે જરૂરી છે.