મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર રસ્તા બાબતનો ખાર રાખીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકોનો તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો
SHARE
મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર વાડી વિસ્તારનો રસ્તો ખુલ્લો કરાવવાનો ખાર રાખીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકોનો તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો
મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળ નગર થી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવતી ઘુડની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જે રસ્તો તે વિસ્તારના માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખીને આજે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી શહેરમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને રોકીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકો દ્વારા તેના ઉપર તલવાર, છરી, કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડી માં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી અને સુરેશ છગનભાઇ ડાભી ઉપરાંત ચાર મહિલા સહિત કુલ મળીને 10 થી વધુ લોકો દ્વારા તલવાર, કુહાડી, છરી અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને છરી અને કુહાડીનો બુંધરાવટીના ઘા મારાને ઇજા કરેલ છે. જેથી ઈજા પામેલા રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને હુમલાની આ ઘટના વિશે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ભોગ બનેલા યુવાનનું નિવેદન લેવા માટે અને ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
વધુમાં આ હુમલાની ઘટના વિશે મોરબી શહેર ભાજપના મહામંત્રી અને નગરપાલિકાના માજી કાઉન્સિલર ભાવેશભાઈ કંઝારીયા પાસેથી મળતી વિગત પ્રમાણે ઘુડની વાડીમાં રહેતા ડાભી પરિવાર દ્વારા ગોકુલનગર થી જાગાની વાડી તરફ જવા માટેનો જે આઠ વાડીનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે થઈને રોહિતભાઈ કંઝારીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે થોડા સમય પહેલા મામલતદારની હાજરીમાં રસ્તા ઉપરના દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. જે બાબતનો ખાર રાખીને રોહિતભાઈ કંઝારીયા આજે મોરબી શહેરી વિસ્તારમાં પોતાનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ આ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ચાર મહિલાઓ સહિતના કુલ 10 થી વધુ લોકોએ તેને રોકીને તેના ઉપર હુમલો કર્યો હતો. જેથી કરીને ઈજા પામેલ હાલતમાં રોહિતભાઈને સારવાર માટે લઈને આવ્યા છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, થોડા સમય પહેલા રસ્તાના આ વિવાદના કારણે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ડાભી અને કંઝારીયા પરિવાર દ્વારા સામસામે ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી.