મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન
લોઢાંના ચણા !: મોરબીમાં આધાર કાર્ડ નવા કઢાવવા-સુધારા કરાવવા લોકો હેરાન, સરકાર-સરકારી બાબુઓ સામે ભારોભાર રોષ
SHARE
લોઢાંના ચણા !: મોરબીમાં આધાર કાર્ડ નવા કઢાવવા-સુધારા કરાવવા લોકો હેરાન, સરકાર-સરકારી બાબુઓ સામે ભારોભાર રોષ
મોરબીમાં રહેતા લોકો છેલ્લે એક બે દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના કામ માટે હેરાન થઈ રહ્યા છે તો પણ અધિકારીઓએ દ્વારા લોકોને આધાર કાર્ડની કામગીરી ઝડપથી પૂરી થાય તેના માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી કરીને લોકો સવારે પાંચ અને છ વાગ્યે આવીને લાઈનમા બેસે છે તો પણ તેના આધાર કાર્ડને લગતા કામ થતાં નથી. જેથી કરીને સરકારની નીતિરીતિ અને સરકારી અધિકારીઓની બેદરકારીની સામે લોકોમાં ભારોભાર રોષની લાગણી છે છે અને વહેલમાં વહેલી તકે આધાર કાર્ડના કામ માટેની કીટ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સરકારની તમામ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવવામા આવેલ છે જેથી કરીને નવા આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ જૂના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનો લગાવે છે તો પણ આધાર કાર્ડના કામ પૂરા થતાં નથી જેથી લોકોને હેરાન-પરેશાન થવુ પડે છે. આજની તારીખે મોરબી શહેર અને તાલુકા મામલતદાર ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કુલ મળીને 10 જેટલી કીટ ચાલુ છે જો કે, તે દરેક સેન્ટર ઉપર દરરોજના મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડના કામ માટે આવે છે અને લાઈનો લગાવે છે. પરંતુ 40 થી 50 જેટલા જ ટોકન આપવામાં આવે છે અને તેટલા જ લોકોના આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે તે સિવાયના લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે.
મોરબીના નાની વાવડી ગામ પાસે રહેતા અસ્મિતાબેન, મોરબીના લીલપર રોડે રહેતા દેવુબેન ભીલ, તેમજ મોરબીના ખારી વિસ્તારમાં રહેતા જમાનાબેને જણાવ્યુ હતું કે, તેઓ વહેલી સવારે છથી સાત વાગ્યાના મોરબીના લાલબાગ સેવ સદન ખાતે જયા આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે ત્યાં લાઇનમાં બેઠા હતા અને એક નહીં પરંતુ ચારથી પાંચ ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડના કામ માટે થયેલ ન હતું જેથી તેઓ વધુ એક વખત ત્યાં આવેલ છે જો કે, ટોકન વિતરણ સવારે સાડા દસ વાગ્યે કરવામાં આવે છે ત્યાં સુધીમાં જો વહેલી સવારથી લાઇનમાં બેઠેલ લોકો બાથરૂમ કરવા માટે પણ ત્યાંથી દૂર ગયા હોય તો પણ તેઓની સાથે ટોકનાની લાઇનમાં રહેવા માટે અને ટોકન લેવા માટે ઝઘડો અને માથાકૂટ કરવામાં આવેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, હાલમાં રેશન કાર્ડના ઓટીપી નંબર માટે, વિદ્યાર્થિનીએ સ્કોલરશીપના કેવાયસી માટે તેમજ અન્ય સરકારી કામ માટે લોકોને આધાર કાર્ડની જરૂર પડે છે જો કે, આધાર કાર્ડ સેન્ટરમાં દરરોજ જેટલા લોકો આધાર કાર્ડનું કામ કરાવવા માટે આવે છે તેની સામે પાસેરમાં પૂણી જેટલા લોકોના કામ ત્યાં થાય છે માટે મોરબી શહેર અને જીલ્લામાં આધાર કાર્ડનું કામ કરાવવું એટ્લે લોઢાંના ચણા ચાવવા સમાન બની ગયેલ છે એટલા જ માટે નોકરીમાં રજા રાખીને હેરાન થતાં લોકોને ખોટા ધક્કા ન થાય અને વહેલી તકે તેના કામ પૂરા થાય તે માટે આધાર કાર્ડના કામમાં ઝડપ લાવવા વધારાની કીટ મોરબી શહેર અને જિલ્લામાં કાર્યરત કરવામાં આવે તેવી મોરબીના લોકો વતી સામાજિક કાર્યકર રાજુભાઇ દવે દ્વારા માંગ કરવામાં આવી છે.