મોરબીમાં દવા પી જતા યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો
SHARE
મોરબીમાં દવા પી જતા યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો
મૂળ તારાણા-મોરાણાનો વતની અને હાલ મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે આવેલ ભક્તિ સોસાયટી શેરી નંબર-૨ માં રહેતો રોહિત રાયધનભાઈ નાટડા નામનો ૨૪ વર્ષીય યુવાન તા.૨૩ ના સવારે નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર દવા પી ગયો હતો. જેથી તેને બેભાન હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહી ખેત મજૂરી કામ કરતો રવિ કિશનભાઈ ખરાડી નામના ૨૦ વર્ષનો યુવાન જેતપર ગામે ઝેરી દવાનો છંટકાવ કરતા હતો તે સમયે અસર થયેલ હોય સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ મોરબી રહેતા જીતેન્દ્ર જાદવ નામના ૩૩ વર્ષના યુવાનને થોડા દિવસો પહેલા કૂતરું કરડ્યું હતું.જેથી હડકવાની અસર ઉપડતા તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વીસીપરા ચાર ગોડાઉન નજીક રહેતા રામજીભાઈ હકુભાઈ મુંદરીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેઓના ઘરે તેમની દીકરી કાજલબેન દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી સારવાર માટે સિવિલે ખેસેડાયા હતા અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ જનાર્દનભાઈ મિશ્રા નામના ૫૯ વર્ષીય વૃદ્ધ તા.૨૧ ના સવારે દશેક વાગ્યે ઘરેથી યમુનાનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું ટુ-વ્હીલર વાહન સ્લિપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા પામ્યા હતા.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ પાવઠાની વાડી વિસ્તારમાં રહેતા ભાનુબેન અવચરભાઈ ડાભી નામના ૬૦ વર્ષના વૃદ્ધા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી દલવાડી સર્કલ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ મારી જવાના બનેલ બનાવમાં ભાનુબેન ડાભી નામના વૃદ્ધા ઇજા પામતા તેઓને અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પરપ્રાંતીય વૃદ્ધનું મોત
મૂળ ઉત્તરપ્રદેશના મથુરાના વતની અને છેલ્લા કેટલાક સમયથી હળવદ ખાતે સાધુ જીવન જીવતા રામદેવભાઈ નામના ૭૪ વર્ષીય વૃદ્ધને તા.૨૨ ના રોજ હળવદની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બીમારી સબબ વધુ સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જયાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન તા.૨૩ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજયુ હતું.બનાવ અંગે મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે હળવદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મૃતકના વાલી-વારસની શોધ ચલાવવામાં આવતા સામે આવ્યુ હતું કે મૃતક સાધુ જીવન જીવતા હતા અને વતનમાંથી તેમના કોઈ સગા આવી શકે તેમ ન હોય પોલીસ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી..!