મોરબીમાં વધુ પડતી ટીબી ની દવા પી જતા સારવાર દરમિયાન યુવાનનું મોત
SHARE
મોરબીમાં વધુ પડતી ટીબી ની દવા પી જતા સારવાર દરમિયાન યુવાનનું મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખાતે વધુ પડતી ટીબીની દવાઓ ખાઈ જવાથી યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજત્તા હાલ પોલીસે નોંધ કરીને બનાવના કારણની દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ પેથુભાઈ માનેવાડીયા નામના ૪૧ વર્ષીય યુવાને તા.૧૪ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં વધુ પડતી ટીબીની ગોળીઓ ખાઈ લીધી હતી.જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થતા ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયું હતું અને સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવેલ હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઇ છે.કયા કારણોસર સંજયભાઈ માનેવાડિયાએ ઉપરોક્ત પગલું ભર્યું.? તે હાલ તપાસનો વિષય છે.જ્યારે ટંકારાના નાના રામપર ગામે રહેતા ગૌતમભાઈ રમેશભાઈ રાણવા નામના યુવાનનું બાઈક અકસ્માતે સ્લીપ થઇ જતા તેને ઈજા પામેલ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ ટંકારાના ગણેશપર ગામની સીમમાં રહીને મજૂરી કામ કરતા કાંતિભાઈ કાળુભાઈ ભુરીયા નામનો ૩૫ વર્ષનો યુવાન દવા પી જતા તેને ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હોય એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
રીક્ષા-કાર અકસ્માતમાં ઈજા
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે રીક્ષા તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં અમિત હકાભાઇ ભુરીયા (૨૩) રહે.વીસીપરા, ભારતીબેન લોકેન્દ્રસિંગ (૨૪), રાહુલ શિવકુમાર શુક્લા (૨૩) અને કુમકુમ રાહુલભાઈ શુક્લા (૨૨) ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે માળિયા હાઇવે ઉપરના નાગડાવાસ ગામે રહેતા નારણભાઈ દેવાભાઈ રાઠોડ નામના ૬૧ વર્ષના વૃદ્ધને ગામ નજીક રોડ ઉપર પગપાળા જતા સમયે કોઈ વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીના હરીપર (કેરાળા) ગામે આવેલ તુલસી પેકેજીંગ નજીક મારામારીના બનાવમાં મનિષાબેન મુકેશભાઈ પરમાર નામની ૧૭ વર્ષની યુવતીને ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના જીવાપર ગામે વાડીએ દવા છાંટતા સમયે અસર થતા કિશોર નરવતભાઈ માવી નામના ૨૧ વર્ષના યુવાનને અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના પંચાસર રોડ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા અશોકભાઈ સવજીભાઈ બાવરવા નામના ૫૦ વર્ષના આધેડ સરવડ ગામેથી બાઈક લઈને પરત આવતા હતા.ત્યારે સરવડ નજીક તેમનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા સારવારમાં ખસેડાયા હતા.જેને પગલે સ્ટાફના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.