મોરબીમાં વર્ષોથી ન ઉકેલાયેલા પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સમય માંગ્યો
મોરબીના ચકચારી ૬૦૨ જમીન કૌભાંડમાં પોલીસને આરોપી મળતા નથી !? : ૮૬.૭૦ લાખની નાણાકીય લેવડ-દેવડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેકના તપેલા ચડે
SHARE
મોરબીના ચકચારી ૬૦૨ જમીન કૌભાંડમાં પોલીસને આરોપી મળતા નથી !? : ૮૬.૭૦ લાખની નાણાકીય લેવડ-દેવડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેકના તપેલા ચડે
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની જમીનના કૌભાંડની ચર્ચા ચાલી છે અને મૂળ માલિક સહિતનાઓ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી ત્યાર બાદ પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે. જો કે, જે ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે તેની સામે ફરિયાદીને અસંતોષ છે.જેથી કરીને આ અંગે મુખ્યમંત્રી અને રાજય પોલીસ વડા સુધી ફરિયાદી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જો કે, જે ફરિયાદ લેવામાં આવેલ છે તેને પણ પાંચ દિવસ જેટલો સમય થઈ ગયેલ છે તો પણ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ થયેલ નથી અને ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને જે જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે.તેમાં કોની કોની સંડોવણી છે ? તેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્રારા જો બોગસ દસ્તાવેજ કરવા માટે અવેજ પેટે જે ૮૬.૭૦ લાખની નાણાકીય લેવડ દેવડ સરકારી ચોપડા ઉપર દર્શાવવામાં આવેલ છે.તે રૂપિયા કયાંથી આવ્યા હતા..? અને કેવી રીતે આવ્યા હતા..? તેની ઉંડાણપુર્વ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અને આરોપી પકડાયા બાદ જો સાચી વિગતો બહાર આવશે તો આ ચકચારી જમીન કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી સામે આવે તેવી શકયતાને નકારી શકાય તેમ નથી.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (૬૫) એ ગત તા.૧૫ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી, મોરબી-૨ મૂળ રહે.ઝાઝાસર (દેવગઢ) તા.માળીયા(મીં) જી.મોરબી અને સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે.તરઘરી તા.માળીયા(મી) જી.મોરબીની સામે જમીન કૌભાંડની ફરીયાદ નોંધાવેલ હતી.જો કે, ફરિયાદી દ્વારા ગત જાન્યુઆરી મહિનાથી સ્થાનિક અધિકારીથી લઈને મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે બાદ તેઓની માલીકીની જમીન માટે ભેજાબાજ શખ્સો દ્વારા કરવામાં આવેલ જમીન કૌભાંડની ફરિયાદ પોલીસે લીધેલ છે. પરંતુ અરજદાર દ્વારા તેઓની પહેલી અરજીથી જે લોકોના નામ જોગ રજૂઆતો કરી રહ્યા છે તે રજૂઆતો અને લેખિત ફરિયાદને ધ્યાને લઈને ફરિયાદ લેવામાં આવેલ નથી.જેથી ફરિયાદની સામે જ ફરિયાદીએ અસંતોષ વ્યક્ત કરેલ છે અને તેના માટેની તેઓએ લેખિતમાં એસપીથી લઈને મુખ્યમંત્રી સુધી જાણ પણ કરેલ છે.
ઉલેખનીય છે કે, ફરિયાદીના પિતા, ત્રણ કાકા અને બે ફૈબા હતા જે તમામનું અવસાન થઇ ગયેલ છે અને તેઓના પરિવારમાં શાંતાબેન બેચરભાઇ ડાભી વા/ઓફ મનજીભાઇ પરમાર નામની કોઈ મહીલા નથી અને ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમનું તા. ૧૯/૧૨/૧૯૯૯ ના રોજ અવસાન થયેલ હતું અને તેઓની માલિકીની વજેપર ગામના સર્વે નંબર- ૬૦૨ વાળી જમીન વર્ષ ૧૯૫૯ થી તેઓના પરિવાર પાસે જ છે. જે જમીન પચાવી પાડવા માટે આ જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેના માટે એક નહીં પરંતુ અનેક રજૂઆતો કરવામાં આવી તેમજ કલેક્ટરના આદેશથી ડીઆરડીએ અને એસપીના આદેશથી ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે બંને તપાસમાં ગેરરીતિ થયેલ હોવાનું સામે આવ્યું છે.તેવું ફરિયાદી જણાવી રહ્યા છે. તેમ છતાં પણ મોરબીમાં પોલીસે જે તાબડતોબ ફરીયાદ લીધેલ છે તેમાં મુખ્ય આરોપીઓને છાવરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવેલ છે. તેવો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાયા બાદ છેલ્લે કરવામાં આવેલ અરજીમાં કરવામાં આવ્યો છે.
હાલના ફરીયાદીના પિતા અને જમીન ધારક બેચરભાઇ ડુંગરભાઇ નકુમે તેની માલીકીની જમીન પૈકી બે એકર જમીન તેમના ભાઈ ભગવાનજીભાઈ ડુંગરભાઈ નકુમને વેચાણ આપેલ હતી.જે દસ્તાવેજ ફરીયાદીના ભાણેજ જયંતીભાઈ મીઠાભાઈ પરમારે વર્ષે ૨૦૧૩ માં છોડાવેલ હતો. જોકે, જે શખ્સો દ્વારા વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરવામાં આવ્યું છે. તેને આ બાબત ધ્યાનમાં ન હોવાથી ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ ઉભા કરીને આખી જમીન માટેનો દસ્તાવેજ કરવામાં આવેલ છે. અને ફરિયાદીના કહેવા મુજબ જેને આ જમીન સાથે કોઈ લેવા-દેવા નથી તેવા શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહીલાએ તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને જમીનનો બોગસ દસ્તાવેજ કરી દિધેલ છે..!
અત્રે ઉલેખનીય છે કે, ગત તા.૧૦-૦૭-૨૦૨૪ ના રોજ ફરિયાદીની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન વા/ઓ મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો.શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજીભાઈ ૫રમારના પત્નીએ સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનના મુળ માલિક સ્વ.બેચરભાઈ ડુંગરભાઇ નકુમની દિકરી શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી હતી અને આ કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદાર ઈ-ધારા કેન્દ્ર મોરબીમાં તા.૧૬-૦૭-૨૦૨૪ ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી.જેમાં અરજદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વા/ઓફ મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી મોરબી-૨ દર્શાવ્યુ છે.જોકે તેઓ કોળી જ્ઞાતિના છે તેમજ તેમના પિતાનું નામ ગેલાભાઈ ખોડાભાઈ કારૂ છે તેમ છતા ફરીયાદીના પિતાના વારસદાર તરીકે ખોટુ સોગંદનામું કર્યુ હતુ.! આટલું જ નહીં ખોટા મરણના દાખલા, ખોટો વારસાઇ પેઢી આંબો બનાવીને જમીનમાં વારસદાર તરીકે આ મહિલાનું નામ ઉમેરવામાં આવ્યું હતું.
હાલમાં પોલીસ મથકે જે ફરિયાદ થયેલ છે.તેમાં જણાવ્યા મુજબ જમીનમાં ખોટી વારસાઇ કરાવ્યા બાદ શાંતાબેન મનજીભાઇ પરમારએ આ જમીન મોરબી સબ રજીસ્ટાર કચેરીના દસ્તાવેજ નંબર-૮૪૫ તા.૮-૧-૨૦૨૫ થી સાગર અંબારામભાઇ ફુલતરીયાને રૂા.૮૬,૭૦,૦૦૦ માં વેચાણ કરી આપેલ છે. જો કે, જમીન લેનાર તરઘરી ગામના હાલના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાએ જે રૂપિયાની ચુકવણી કરેલ છે.તે રૂપિયા રોકડા આપેલ હતા કે પછી બેંકમાં ટ્રાન્સફર કરીને આપેલ છે ?, જે રૂપિયા આપવામાં આવેલ છે તે ખરેખર કયાંથી આવ્યા હતા ?, કેવી રીતે આપવામાં આવેલ છે ?, જો સાગર ફૂલતરિયાએ બીજા કોઈ વ્યક્તિ કે પેઢી પાસેથી રૂપિયા લીધેલ હોય તો તે લોકોને જમીન કૌભાંડની જાણ હતી કે કેમ ?, જે લોકોએ રૂપિયા આપેલ હોય તેની જમીન કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવણી છે કે કેમ ? તે અંગે ઉંડાણપુર્વકની તપાસ પોલીસ દ્રારા કરવામાં આવે તે જરૂર છે.
આટલું જ નહીં શાંતાબેન મનજીભાઈ પરમારને જમીન લેનાર સાગર ફૂલતરિયા દ્વારા જે રૂપિયા આપવામાં આવેલ છે.તે શાંતાબેનના કયા બેંક એકાઉન્ટમાં આવ્યા હતા ?, તે બેંક એકાઉન્ટ કયારે ઓપન કરવામાં આવ્યું હતું ?, શાંતાબેન વારસાઈ એન્ટ્રીમાં અને દસ્તાવેજમાં અંગૂઠાનું નિશાન આપે છે. તો તેમના બેંક એકાઉન્ટને કોણ અને કેવોઈ રીતે ઓપરેટ કરે છે ? અને જમીન વેચાણ કરીને આ મહિલાને જે રૂપિયા મળે છે તે હજુ પણ ખરેખર તેમના બેંક એકાઉન્ટમાં છે ? કે પછી અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર થયેલા છે..? કે કોઇ જગ્યાએ વાપરવામાં આવેલ છે ? કે પછી કોઈ વ્યક્તિ કે પેઢીને આપવામાં આવેલ છે ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ મહિલાના એકાઉન્ટમાંથી આટલી મોટી રકમ બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તો તે અંગેની પણ ઝીણવટ ભરી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અને તપાસ જો તટસ્થ તેમજ નિષ્પક્ષ રીતે કરવામાં આવે તો અન્ય લોકો આ મોડસ ઓપરેન્ડીથી ભોગ બનતા અટકશે. તેમજ મરણના ખોટા દાખલા, ખોટો પેઢીનો આંબો બનાવીને કિંમતી જમીનમાં વરસાઈ એન્ટ્રી કરાવ્યા બાદ આયોજનપૂર્વક કરવામાં આવેલ આ કૌભાંડમાં પોલીસને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે અને ઘણા લોકોના પગ નીચે રેલો આવશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.