મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ
ન માત્ર નેતાઓ આવે ત્યારે, મોરબીમાં કાયમી ધોરણે સ્વચ્છતા જાળવવા તંત્ર કામ કરે અને લોકો સહકાર આપે: ભુપેન્દ્રભાઈ પટેલ
SHARE
ન માત્ર નેતાઓ આવે ત્યારે, મોરબીમાં કાયમી ધોરણે સ્વચ્છતા જાળવવા તંત્ર કામ કરે અને લોકો સહકાર આપે: ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીએ 187 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું: આજના જ દિવસમાં બેલા ભરતનગર રોડ અને જીઆઇડીસી માટે 120 કરોડના નવા કામો મંજૂર કર્યા: સ્વચ્છતા, એક પેડ માં કે નામ અને કેચ ધ રેન આ ત્રણ દિશામાં કામ કરવા લોકો અને તંત્રને કરી ટકોર
મોરબીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 187 કરોડના વિકાસ કામોની મોરબી જિલ્લાને ભેટ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી તે ઉપરાંત 120 કરોડના નવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ મોરબીમાં ચાલતા કરોડો રૂપિયાના વિકાસ કામોની ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવે અને ન માત્ર નેતાઓ આવે ત્યારે પરંતુ કાયમી ધોરણે મોરબીમાં સફાઈ રહે અને સ્વચ્છતા જાળવવા તે માટે લોકોનો સહકાર મળે તેવી પણ મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી
મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને આ તકે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરિયા અને મેઘજીભાઈ ચાવડા તેમજ માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ તકે રાજ્યના મુખ્યમંત્રીનું મોરબીના આંગણે તલવાર, સાફા, પાઘડી, મોમેન્ટો આપીને ધારાસભ્યોએ, પક્ષના પ્રમુખ સહિતના હોદેદારો અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખો, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા પ્રસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને શહેરના બ્યુટીફીકેશન માટે 300 કરોડ રૂપિયા કોર્પોરેશનને, 192 કરોડ રૂપિયાના ખર્ચે નવલખી બંદરે નવી જેટી, 1461 કરોડ રૂપિયાના ખર્ચે જીઆઇડીસી તથા સીરામીક પાર્ક, 498 કરોડ રૂપિયાના ખર્ચે મોરબીમાં મેડિકલ કોલેજ, 350 કરોડ રૂપિયાના ખર્ચે મોરબીથી હળવદ રોડ અને મોરબીથી અણિયારી ચોકડી સુધીનો રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે ઉપરાંત સરકારમાંથી મોરબીના આગેવાનો અને લોકો માંગે તે મંજૂર કરવામાં આવે છે ત્યારે આગમી સમયમાં મોરબી માટે શું માંગવુ તે પ્રશ્ન છે તેવા સમયે મોરબીના જે કામ થાય તે તમામ કામો ક્વોલિટી વાળા થાય તેના ઉપર મોરબીના લોકોએ ભાર મૂકવો પડશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 187 કરોડના વિવિધ રોડ રસ્તાના કામોનું ખાતમહુર્ત કરીને લોકોને ભેટ આપી હતી તેમજ મોરબીના બેલાથી ભરતનગર સુધી જે ખોખરા હનુમાન મંદિર વાળો રસ્તો છે તેના માટે આજે 30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે અને 90 કરોડ રૂપિયા જીઆઇડીસીના બીજા ફેઝ માટેના કામના મંજૂર કર્યા છે. આમ કરોડો રૂપિયાના વિકાસ કામનું લોકાર્પણ અને ખાતમહુર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા, એક પેડ માં કે નામ અને કેચ ધ રેન જે ત્રણ કાર્ય ઉપર ભાર મૂકવામાં આવે છે તેના ઉપર જ વાત કરતા કહ્યું હતું કે “મોરબી જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય, વધુમાં વધુ ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ થાય તેમજ મોરબીમાં માત્ર દેશના જ નહીં વિદેશના લોકો પણ મોરબીમાં આવે છે ત્યારે ન માત્ર નેતાઓ આવે ત્યારે સફાઈ પરંતુ મોરબીમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાય, મોરબી સ્વચ્છ શહેર બને તેના માટે તંત્ર દ્વારા કામગીરી થાય તેમાં લોકોનો પણ સહકાર મળે તેવી ટકોર કરી હતી.