મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો
મોરબી જિલ્લા પંચાયતના 15.62 કરોડના માંગણા સામે 11.77 કરોડની વેરા વસૂલાત: 636 પૈકીનાં 59 ગામોએ 100 ટકા વેરો ભર્યો
SHARE
મોરબી જિલ્લા પંચાયતના 15.62 કરોડના માંગણા સામે 11.77 કરોડની વેરા વસૂલાત: 636 પૈકીનાં 59 ગામોએ 100 ટકા વેરો ભર્યો
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વર્ષ 2024-25 દરમ્યાન વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ટીમે સારું કામ કર્યું હોવાથી જિલ્લાના 363 ગામોમાંથી 59 ગામના મિલકત ધારકો દ્વારા 100 ટકા વેરાની રકમ પંચાયતમા ભરી આપવામાં આવેલ છે અને આ વર્ષે જિલ્લા પંચાયતના કુલ 15.62 કરોડના માંગણા સામે 11.77 કરોડની વસુલાત કરેલ છે. તેવી માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવેલ છે.
તાજેતરમાં મોરબીમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે, મોરબી જિલ્લો રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની સરકારી યોજનાઓની કામગીરીમાં ઓનલાઈન પોર્ટલ CM-DASH BOARD માં નંબર વન ઉપર ચાલી રહ્યો છે આ બેઠકમાં જુદાજુદા વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું મૂલ્યાંકન સીએમની હાજરીમાં કરવામાં આવતું હોય છે. અને ગુજરાતના જુદાજુદા જીલ્લામાં કરવામાં આવેલ કામગીરી આધારે વિભાગ વાઈઝ ઓવરઓલ રેંક નક્કી કરવામાં આવતા હોય છે. ગઇકાલે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી તથા ડીડીઓ જે.એસ. પ્રજાપતીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાયેલ હતી.
જેમાં અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વર્ષ 2024-25 ની વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે જોકે, ટંકારા પાલીકા તથા મોરબી મહાપાલીકામા આવી ગયેલા ગામોનું માંગણું તાલુકા પંચાયતોમાંથી નીકળી ગયેલ છે તેમ છતાં પણ મોરબી જિલ્લો વેરા વસુલાતની કામગીરીમાં રાજયમાં બીજાક્રમે આવેલ છે. જેથી સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રમુખ તેમજ ડીડીઓએ વધાવી હતી. અને અધિકારી કહ્યું હતું કે, જિલ્લા 15.62 કરોડનું માંગણું હતું જેની સામે વર્ષ દરમ્યાન 11.77 કરોડની વસુલાત કરેલ છે. અને સરકારના નિયમ મુજબ જે ગામોમાં 80 ટકાથી વધુ વસુલાત થાય તેને વસુલતના 50 ટકા અથવા 5 લાખ રૂપિયા જે રકમ ઓછી હોય તે રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે.
મોરબી જિલ્લામાં જે વેરાની વસૂલાત કરવામાં આવેલ છે તેના લીધે ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટ અંદાજીત 2.14 કરોડ અને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ પ્રોત્સાહક ગ્રાન્ટ અંદાજીત 3.28 કરોડ ગ્રાન્ટ મળવા પાત્ર થશે. જે ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને સ્વભંડોળના કામ માટે આપવામાં આવશે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, હળવદ તાલુકાનાં 72 ગામોમાં 72 ટકા વસૂલાત કરવામાં આવેલ છે જેમાં 100 ટકા વસુલાત વાળા 24 ગામ છે., માળિયા તાલુકાના 46 ગામોમાં 80.84 ટકા વસૂલાત થયેલ છે જેમાં 100 ટકા વસુલાત વાળા 7 ગામ છે., મોરબી તાલુકાનાં 108 ગામોમાં 79.99 ટકા વસૂલાત થયેલ છે અને 100 ટકા વસુલાત વાળા 12 ગામ છે., ટંકારા તાલુકાનાં 46 ગામોમાં 82.94 ટકા વસૂલાત થઈ છે. અને 100 ટકા વસુલાત વાળા 7 ગામ છે. જયારે વાંકાનેર તાલુકાનાં 91 ગામોમાં 64.55 ટકા વસૂલાત થયેલ છે જેમાં 100 ટકા વસુલાત વાળા 11 ગામનો સમાવેશ થાય છે.