મોરબી જીલ્લામાં તલાટીઓએ વકીલોના કામ કરવા માટે બનાવેલ ઓફિસો બંધ કરાવવા 15 દિવસનું રેવન્યુ બાર એસો.નું અલ્ટિમેટમ
SHARE









મોરબી જીલ્લામાં તલાટીઓએ વકીલોના કામ કરવા માટે બનાવેલ ઓફિસો બંધ કરાવવા 15 દિવસનું રેવન્યુ બાર એસો.નું અલ્ટિમેટમ
મોરબીમાં તલાટીમંત્રીઓ પોતાની ખાનગી ઓફીસ કરીને ત્યાં બેસીને કે પછી તેના લાગુ પડતાં લોકોને બેસાડીને વકીલોને કરવાના કામ કરતાં હોય છે જેથી કરીને વકીલોને કરવાના કામ કરતાં તલાટીઓની ઓફિસોને બંધ કરાવવા માટે 15 દિવસનું આલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો કે, તલાટીઓની ખાનગી ઓફિસોમાં વકીલોને કરવાના થતાં કામ બંધ કરાવવા માટેની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા રેવન્યુ બાર એસો. દ્વારા આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.
મોરબી રેવન્યુ બાર એસો.ના સભ્યોએ ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, જીલ્લામાં તલાટીમંત્રીઓ સરકારનો ખોટો ગેરકાયદેસર પગાર મેળવે છે અને ખાનગી ઓફીસ ચલાવી આવક મેળવી રહ્યા છે અને સરકારી જે કામગીરી તેઓને કરવાની હોય છે તે કામ સમયસર કરતાં નથી અથવા તો લોકોને ધક્કા ખાવા પડે છે અને ઘણા તલાટીમંત્રીઓ ખાનગી ઓફીસ બનાવીને કમાણી કરી રહ્યા છે અને ખાસ કરીને વકીલોને કરવાના કામ પણ તો કરી રહ્યા છે જેથી તેઓના સરકારી પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે. કેમ કે, તલાટીમંત્રીઓ ખાનગી ઓફીસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી, વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના કાર્ય કરે છે. એટ્લે કે જે કામ વકીલની પ્રેક્ટીસ કરતા વકીલોએ કરવાનું હોય તે કામ તલાટીમંત્રીઓ સરકારી કચેરીનું કામ છોડીને ખાનગી ઓફિસે બેઠા કરતાં હોય છે.
વધુમાં જણાવ્યું છે કે વિમલ ચંદ્રાલા, મેહુલ ઉધરેજા, બળદેવ કુંડારિયા, આરીફ મન્સૂરી, નીલેશ દેસાઈ, સંદીપ દેત્રોજા, કેતન વડાવીયા, ઉમેશ ચંદ્રાસારા સહિતના તેમજ ટંકારાના દિવ્યેશ રાજકોટિયા, યોગેશ દેત્રોજાની પર્સનલ રેવન્યુના કામ અને દસ્તાવેજને લગતા કામ માટેની ઓફીસ છે. આ તલાટીઓને સરકારી કામમાં રસ ન હોય અને ખાનગી કામમાં રસ છે તેવો મોરબી રેવન્યુ બાર એસો. સભ્યો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે અને તેઓની ખાનગી ઓફિસે કરવામાં આવતા બંધ કરવા માટે અને સરકારી કામમાં ધ્યાન આપીને સમયસર કામ કરવા જરૂરી આદેશ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે અને આ તલાટીઓના ખાનગી કામો 15 દિવસમાં બંધ નહિ થાય તો આગામી દિવસોમાં મોરબી રેવન્યુ બાર એસો. દ્વારા આકરા પગલા લેવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

