મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ
મોરબીના સામાકાંઠે આવેલા કેસરબાગ પાસેથી ૨૦ દિવસ પહેલા એક વૃદ્ધને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલી વારસ ન હોય અને સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હોય તેના વાલી વારસને શોધવા માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસેથી પડી ગયેલ હાલતમાં ઈજા થવાથી આશરે વીસેક દિવસ પહેલા જનકભાઈ ભાનુશંકરભાઈ મંડિર (ઉંમર ૮૦) રહે.મૂળ ચોટીલા હાલ મોરબીને સારવાર માટે અત્રેની સિવિલે દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ સારવાર હેઠળ હતા દરમિયાનમાં ગઈકાલ તા.૯-૭ ના સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા જનકભાઈ મંડિર નામના વૃદ્ધનું મોત થયુ હતું.જોકે તેમના કોઈ વાલી વારસ ન હોય હાલ તેમના વાલી વારસને શોધવા માટે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.આ બાબતે કોઇને કોઇ જાણકારી હોય તો તપાસ અધીકારીના મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર દિનેશભાઈ કાનાભાઈ રાઠોડ (૩૨) રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મચ્છુનગર વિસ્તાર મોરબી ને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં દિનેશભાઈ રાઠોડને ઈજા થતાં તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માલણીયાત ગામે રહેતા પરિવારની જલ્પા મુકેશભાઈ કુણપરા નામની ત્રણ વર્ષની બાળકીને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી તે ગામના રામજી મંદિર પાસેથી પોતાના કાકાના બાઈકમાં બેસીને જતી હતી ત્યાં રસ્તામાં ઢોર આડુ ઉતરતા થયેલ અકસ્માત બનાવમાં તેણીને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.
તેમજ ટીંબડી ગામના દર્શિલ સવજીભાઈ પરમાર નામના છ વર્ષના બાળકને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો તે તેના પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતાં દવાખાને લઇ જવાયો હતો.તેમજ ધુળકોટ ગામે થયેલ મારામારીના બનાવમાં સવિતાબેન માવજીભાઇ પરમાર નામના ૪૫ વર્ષના મહિલાને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.









