મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કર્યો
SHARE
મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ થોડા સમય પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેના ભાઇનું મોત નીપજયું હતું પોલીસે મૃતક પાસેથી ત્રણ પાનાની એક સુસાઇટ નોટ મળી હતી જેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં 11 પૈકીનાં 6 આરોપીને અત્યાર સુધીમાં પોલીસે પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ (35) રહે. ઉમા રેસિડેન્સી શેરી-1 શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
પોલીસ કાર્યવાહી
મોરબીના નવા બસ સ્ટેશનની અંદર બસની રાહ જોઇને ઉભેલ યુવતીના પગ ઉપરથી એસટી બસનું ટાયર ફરી વળ્યું હતું.જે બાબતે તે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા એસટી બસના ડ્રાઇવર પ્રવીણભાઈ કાનાભાઈ વીરડા આહિર (૪૭) રહે.સોનગઢ માળીયા મીંયાણા વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
વાંકાનેરના પલાસ ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતાં જગમાલ ખૂમભાઈ નામના ૬૨ વર્ષના આધેડને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારા ખાતે રહેતા અંશુ નિશાદ નામના ૧૬ વર્ષના સગીરને વાયરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં લઇ જવાયો હતો.જ્યારે ટંકારાના અમરાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં ફાતમાબેન હુસેનભાઈ કડીવાર નામના ૮૨ વર્ષના વૃદ્ધાને ઈજા થવાથી સારવાર માટે મોરબી લવાયા હતા.
આધેડ સારવારમાં
માળિયા મીંયાણા ખાતે રહેતા કાળુભાઈ નુરમામદભાઈ બાયદાણી નામના ૫૦ વર્ષના આધેડ જી.કે.હોટલ પાસેથી સાયકલ લઈને જતા હતા ત્યાં અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા સારવાર માટે મોરબી સિવિલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે ધ્રોલ નજીક આવેલ લતીપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની રમીલાબેન હરણીયાભાઈ માવી નામની ૧૧ વર્ષની બાળકી લતીપર ગામ પાસે બાઈક પાછળ બેસીને જતી હતી ત્યારે પડી જતા ઈજા થતાં તેણીને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને હળવદના ભવાનીનગર વિસ્તારમાં બાઈકમાંથી પડી જવાથી કરણ ભરતભાઈ બાવળીયા (૧૪) રહે. રાણેકપર તા.હળવદને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.