મોરબીના મકનસર પાસે વીજશોક લાગતા એક ગાય સહિત ત્રણ પશુઓના મોત
SHARE









મોરબીના મકનસર પાસે વીજશોક લાગતા એક ગાય સહિત ત્રણ પશુઓના મોત
મોરબી નજીકના મકનસર ગામ પાસે રેલ્વેના પાટા નજીક આવેલા વિજપોલમાં વીજશોક લાગવાથી બે ભેંસ તેમજ એક ગાયનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામના ખોડાભાઈ જગાભાઈ પાંચિયા જાતે ભરવાડ (૪૪) એ પોલીસ સ્ટેશને આવીને જાહેર કર્યું હતું કે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે બની રહેલ પોલીસ હેડ કવાટરના પાછળના ભાગે રેલ્વેના પાટા આવેલા છે ત્યાં વિજપોલમાં વિજશોક લાગવાથી બે ભેંસ અને એક ગાયનું મોત નિપજેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી છે.
પરપ્રાંતિય આધેડનું મોત
મોરબીના ટીંબડી ગામ પાસે માળીયા હાઇવે ઉપર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીકથી મયુદ્દીનભાઇ જાનીભાઈ શેખ નામના ૫૦ વર્ષીય મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પગલે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ તપાસ કરતાં હાર્ટ એટેકને લીધે મયુદ્દીનભાઇ શેખનું મોત નિપજયુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતો કેતન કિશનભાઇ વાઘેલા નામનો યુવાન બાઇક લઇને પાડાપુલ ઉપરથી જતો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો છે.જ્યારે વાંકાનેરના કોઠી ગામના રહેવાસી લક્ષ્મણભાઈ કાનાભાઈ સોલંકી (૯૨) અને દિનેશ દેવજીભાઈ (૨૫) નામના બે લોકોને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટમાં રહેતા સુલતાન ઉસ્માનભાઈ નામના ૨૪ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.
