મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું
મોરબી સેશન્સ કોર્ટે હળવદ કોર્ટના ભૂલ ભરેલ ઓર્ડરને રદ્દ કરીને લૂંટ કેસમાં પકડાયેલ બે આરોપીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
SHARE
મોરબી સેશન્સ કોર્ટે હળવદ કોર્ટના ભૂલ ભરેલ ઓર્ડરને રદ્દ કરીને લૂંટ કેસમાં પકડાયેલ બે આરોપીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને તેની પાસેથી રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી કરીને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં બે આરોપીને પકડવા આવ્યા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા હળવદની કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા જેથી બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને હળવદ પોલીસે હળવદ કોર્ટના નિર્ણય સામે રિમાન્ડ રિવિઝન અરજી મોરબીની સેશન્સ કોર્ટમાં કરી હતી જે સરકારી વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયાએ થોડા દિવસો પહેલા અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તે યાર્ડથી થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક નંબર જીજે 36 એએમ 6142 ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા. આ બનાવ સંદર્ભે વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે હળવદ પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા રહે. વીસીપરા અમરેલી રોડ ફુલછાબ કોલોની મોરબી તથા કિશન મોતીભાઈ પરસાડીયા રહે. દલવાડી સર્કલ પાસે મચ્છોનગર હનુમાનજી મંદિર નજીક મોરબી વાળાની ધરપકડ કરી હતી.
આ બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,11,800 રૂપિયા અને લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ આઈ-20 કાર નંબર જીજે 27 એએચ 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક નંબર જીજે 6 એઆર 2534 કબજે કરવામાં આવ્યું હતું અને આ બંને આરોપીના રિમાન્ડ લેવા માટે તેને હળવદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે, હળવદ કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા જેથી બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડી.વી. કાનાણી દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં હળવદ લૂંટના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ લેવા માટે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાની મારફતે રિમાન્ડ રિવિઝન અરજી કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને મોરબીના સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ સમક્ષ કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને સેશન્સ જજ સાહેબ દ્વારા હળવદ કોર્ટના ભૂલ ભરેલા ઓર્ડરને રદ્દ કરીને લૂંટના ગુનામાં પકડાયેલ બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. તેવી માહિતી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી જાણવા મળેલ છે.