ઝેરમુક્ત ખેતી: મોરબી જિલ્લાના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા
SHARE
ઝેરમુક્ત ખેતી: મોરબી જિલ્લાના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા
માનવજાતની સ્વાસ્થ્ય સુરક્ષા અને ધરતી માતાના સંરક્ષણ માટે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી એ અનિવાર્ય વિકલ્પ બની રહી છે. રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં મોરબી જિલ્લો પણ અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીન અને સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોને રોકવા મોરબીના ખેડૂતો હવે ફરી કુદરતના ખોળે જઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
મોરબી જિલ્લામાં ખાસ કરીને કપાસ, મગફળી, જીરું અને એરંડા જેવા પરંપરાગત પાકો ઉપરાંત લીંબુ, દાડમ, જામફળ અને હળવદ પંથકની શેરડીના પાકમાં પણ ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીને કારણે વધતા જતા કેન્સર જેવા ગંભીર રોગો સામે લાલબત્તી સમાન સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે માત્ર ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે એટલું જ નહીં, પરંતુ જમીનની સાથે ખેત પેદાશોની ગુણવત્તામાં પણ ધરખમ સુધારો જોવા મળ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રે ‘મોડેલ સ્ટેટ’ બનવા તરફ અગ્રેસર છે. મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવી લોકોના આરોગ્યની જાળવણી અને ગૌવંશના સંરક્ષણના આ પવિત્ર કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ખેડૂતોના આ હકારાત્મક અભિગમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળવાની સાથે જન-સામાન્યને શુદ્ધ અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થઈ રહે તે તરફ વિશેષ કામગીરી થઈ રહી છે.