મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ
મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
SHARE
મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
મોરબી જીલ્લામાં શુક્રવારે રાતે અને દિવસ દરમ્યાન પડેલા વરસાદના લીધે ઘણી જગ્યાએ રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી કે નદીના પાણી આવી ગયા છે જેથી જુદાજુદા રસ્તાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે જેની સ્થાનિક લોકો, વાહન ચાલકો તેમજ તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી છે
હળવદ-સરા રોડ ઉપર કોઝવેમાં નદીનું પાણી ફરી વળ્યું
હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી નદીનું પાણી વહી રહ્યું છે જેથી ત્યાં કોની દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે રોડને બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદથી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ આપવામાં આવેલ છે
દીઘડિયા ગામે લોકોની અવરજવર
હળવદના દીઘડિયા ગામે કોઝ વે પર પાણીના ભારે પ્રવાહને ધ્યાને રાખીને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે લોકો તેમજ વાહનવ્યવહારની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અને તેની સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ગ્રામજનો તથા વાહન ચાલકોને જાણ કરવામાં આવી છે અને બંધ કરવામાં આવેલા માર્ગનો ઉપયોગ ન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે.
ઘંટીલાથી કુંભારીયાના કોઝવે પર પાણી ફરી વળ્યું
મોરબી જીલ્લામાં ઘંટીલાથી કુંભારીયા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી વરસાદી પાણી આવી ગયું છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર તેમજ લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અને તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના પ્રવાહવાળા બંધ રસ્તા પર જવાનું સાહસ ન કરવા સૂચના આપવામાં આવેલ છે.
મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ
મોરબી જિલ્લામાં મેસરિયાથી અદેપર તરફ જતા રોડ પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન વરસાદી પાણીના લીધે ધોવાઈ ગયું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ન સર્જાય તે અર્થે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સમઢિયાળાથી સતાપર વાળા રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.