મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ
SHARE
મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ
મોરબી જીલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે અને કેટલીક જગ્યાએ રોડ ઉપર પાણી આવી જવાથી રસ્તાઓને બંધ કરવામાં આવેલ છે અને અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેથી કરીને મોરબી કલેકટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ અધિકારીઓની હાજરીમાં સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ તેમજ વીજ પુરવઠો કાર્યરત કરવા સહિતની બાબતોની સમિક્ષા કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ તેમજ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનાર રાહત અને બચાવની કામગીરીની વિસ્તૃત સમીક્ષા આ બેઠકમાં કરી હતી. તેમણે વીજ પુરવઠાની સ્થિતિ, નુકસાન પામેલા વીજ થાંભલાઓ અને વીજલાઈનોની મરામત, વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી, રોડ-રસ્તાઓની સ્થિતિ, પુલ અને કોઝવે પર પાણી ભરાવાની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી તકેદારી તેમજ જનજીવન પર વરસાદની અસર અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા તમામ વિભાગોને સતત સતર્ક રહી 24 x 7 ના ધોરણે કામગીરી કરવા, કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવા, વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠાની પુનઃસ્થાપના તેમજ માર્ગ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે સંકલિત કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
બેઠકમાં પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, વન વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, ફાયર અને ઇમરજન્સી સર્વિસ, સિંચાઈ વિભાગ સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તથા તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ, ડીડીઓ વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલકુમાર બેરવાલ, નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા