મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
SHARE
મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા જુલાઇ મહિનાના છેલ્લા રવિવારે છેલ્લા 54 વર્ષથી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કર્યું હતો જેમાં અધ્યક્ષ સ્થાને માજી મંત્રી હાજર રહ્યા હતા અને સમાજના દીકરા તેમજ દીકરીઓને વર્તમાન સમયમાં વ્યસન અને ફેશનથી દૂર રહીને શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટકોર કરી હતી.
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આજે સરસ્વતી સન્માન સમારોહનું લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના કુલ મળીને 120 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાવંત મહાનુભાવોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય પ્રધ્યુમનસિંહજી મહીપતસિંહજી જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરદેવસિંહજી જાડેજા, ઉદ્યોગપતિ દિલુભા ઉદયસિંહજી જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા, મોરબી નાયબ કલેક્ટર પ્રવિણસિંહજી જેતાવત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સિંધ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમય શિક્ષણનો યુગ હોવાથી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની અને વધુમાં વધુ શિક્ષણ મેળવવા માટેની ટકોર કરવામાં આવી હતી તો સમાજના અન્ય આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા યુવાનોને વ્યસન અને ફેશનથી દૂર રહેવા માટે થઈને ટકોર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તથા મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા અને તેઓની ટિમ જહેમત ઉઠાવી રહી છે.