હળવદના દિઘડીયા ગામે દીવાલ પડતા દબાઇ જવાથી ત્રણના મોત
SHARE
હળવદના દિઘડીયા ગામે દીવાલ પડતા દબાઇ જવાથી ત્રણના મોત
રાતે માતાજીના માંડવાનો પ્રસંગ હોય અને બીજા દિવસે દીકરા-દીકરીના લગ્ન લખવાના હોય ઘર પાસેના પ્લોટની સફાઈ કરતા સમયે સર્જાઇ કરૂણાંતિકા
હળવદ તાલુકાના દિઘડિયા ગામે ખાલી પ્લોટની સફાઇ કરતા સમયે દીવાલ ધરાશાયી થતા બે સગા ભાઇ અને ભત્રીજો મળી એક જ પરિવારના ત્રણ યુવાનોના મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
ઉપરોક્ત ગોઝારા અકસ્માત બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે પ્રસંગ હોય ઘરની બાજુમાં પ્લોટ સાફ કરતા સમયે પ્લોટની દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારમા ત્રણ યુવાનોના દિવાલ હેઠળ દબાઇ જતાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.હળવદના દિઘડિયા ગામે રહેતા સુખાભાઈ ઉર્ફે હકાભાઇ કમાભાઈ કાંજીયા જાતે કોળી (ઉંમર ૪૨) ના ત્યાં માતાજીના માંડવાનો પ્રસંગ હોય અને બીજા દિવસે તેમના દીકરા-દીકરીના લગ્ન લખવાના હોય તે નિમિત્તે ઘરની બાજુમાં આવેલા પ્લોટની સફાઈ કરતા સમયે પ્લોટની દીવાલ પડી હતી જેથી કરીને સર્જાયેલ અકસ્માતમાં સુખાભાઈ ઉર્ફે હકાભાઇ કમાભાઈ કાંજીયા જાતે કોળી (૪૨) તથા તેમનો ભાઈ વિપુલ કમાભાઈ કાંજીયા કોળી (૨૪) અને ભત્રીજા મહેશ પ્રેમજીભાઈ કાંજીયા કોળી (૨૭) એમ એક જ પરિવારના ત્રણ યુવાનોના દિવાલ હેઠળ દબાઇ જવાથી મોત નિપજયા હતા જેથી મૃતદેહોને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા હાલમાં હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાએ આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા થતાં સારવારમાં
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા રહીમ સૌકતભાઇ ચાનિયા નામના ૨૩ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.તે રીતે જ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક આવેલ એમસીલ સિરામિક નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી રાધાબેન સુરેશભાઈ બારેલા (૧૯), કુંતાબેન સુનિલ બારેલા(૨૫), સુનિલ સોમાભાઈ બારેલા (૨૦), સુરેશ સોમા બારેલા (૨૬) અને સતિષ સોમા બારેલા (૨૮) એમ પાંચ લોકોને ઇજાઓ થતાં અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરી બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.