મોરબીમાં સગાઈ તોડી નાખતા લાગી આવતા યુવાન ઓઇલ પી ગયો !
SHARE
મોરબીમાં સગાઈ તોડી નાખતા લાગી આવતા યુવાન ઓઇલ પી ગયો !
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાનની સગાઈ તોડી નાખવા માટે તેના સાસુએ કહ્યું હતું જેથી કરીને યુવાનને લાગી આવતા તે વિજય ટોકીઝ પાસે હતો ત્યારે ઓઇલ પી ગયો હતો જેથી યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને ગયા છે હાલમાં આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે જુસબ હાસમભાઈ ભટ્ટી (ઉંમર ૧૮) રહે. રોહીદાસપરા મોરબી વાળો ગઈકાલે રાત્રે ૯ વાગ્યાના અરસામાં મોરબીમાં વિજય ટોકીઝ પાસે હતો ત્યારે ત્યાં ઓઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે જુસબના પિતા હાસમભાઈ ભટ્ટી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોરબીના કુલી નગર વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી સાથે જુસબની ત્રણ મહિના પહેલા સગાઈ કરવામાં આવી હતી અને જે દીકરી સાથે તેની સગાઈ કરવામાં આવી હતી તેની માતાએ જુસબને સગાઈ તોડી નાખવા માટે ગઈકાલે કહ્યું હતું જેથી કરીને લાગી આવતા જૂસબે ઓઇલ પી લીધું છે અને હાલમાં તે સારવાર હેઠળ છે. આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
મહિલા સારવારમાં
મોરબીના રહેવાસી શિલ્પાબેન વસંતભાઈ બરાસરા નામની મહિલા એકટીવા લઈને જતી હતી ત્યારે કેનાલ રોડ (એસપી રોડ) પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત શિલ્પાબેનને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાવડી ગામે કબીર આશ્રમ સામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા હિંમતભાઈ ડાયાભાઈ ચાવડા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઇકમાં જતા હતા ત્યારે વાવડી રોડ ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક બાઇક અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા અબ્દુલભાઈ સીદીકભાઇ બુરાર નામના ૬૧ વર્ષના આધેડ મોરબીથી માળીયા જતા હતા ત્યારે રસ્તામાં દહીંસરા ગામે પેટ્રોલ પંપ પાસે ઉભેલા ડમ્પર સાથે તેઓનું બાઈક અથડાતા ઇજાગ્રત અબ્દુલભાઈને સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના સ્પેન્ટો સિરામિક નજીક રહેતા અને મજૂરી કામ કરતા ભગીરથભાઈ પ્રેમજીભાઈ સૂર્યવંશી નામના ૪૦ વર્ષીય યુવાનને રફાળેશ્વર અને જાંબુડીયાની વચ્ચે આવેલ નીલકંઠ મિનરલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થચા અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નાનીવાવડી ગામે આવેલી ખોડીયાર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ દલપતરામ દવે નામના ૬૦ વર્ષીય આધેડ ઈશ્વરીયા મહાદેવ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા રાજેન્દ્રભાઈ દવેને સારવારમાં ખસેડાયા હતા