વાંકાનેર પાલિકામાં કર્મચારીઓ બાબતે અને પ્રાથમિક સુવિધા માટે કરાઇ રજૂઆત
ગોકળગતિ: મોરબીના સામાકાંઠે વિસ્તારમાં અદ્યતન ફાયરસ્ટેશનનો પ્રશ્ન પાંચ વર્ષ પણ ઠેરનો ઠેર !
SHARE
ગોકળગતિ: મોરબીના સામાકાંઠે વિસ્તારમાં અદ્યતન ફાયરસ્ટેશનનો પ્રશ્ન પાંચ વર્ષ પણ ઠેરનો ઠેર !
સિરામિક એસો., પેપર મિલ એસો., સહિતના સંગઠનોએ કરેલ માંગણીનું સૂરસૂરિયું: અગાઉ કોંગ્રેસનાં આગેવાનોએ પણ કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર: સામાકાંઠે ઓદ્યોગીક વિસ્તાર હોવા છતાં પણ નથી ફાયર સ્ટેશનની સુવિધા: ઝડપથી બચાવ કામગીરી માટે ફાયરના સાઘનો પહોચાડવા મુશ્કેલ
મોરબી જીલ્લો બની ગયો તેને ઘણા વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી લોકોની સલામતી માટે સારા ફાયર સ્ટેશનની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ટાંચા સાધનો તેમજ બીન અનુભવી સ્ટાફ દ્વારા ફાયરની કામગીરી કરવામાં આવી રહી છે જેથી મોરબીના ઔધોગિક વિકાસને ધ્યાનમાં રાખીને સિરામિક એસો., પેપર મિલ એસો. તેમજ કોંગેસના આગેવાનો દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં ઔધોગિક ઝોનની આજુબાજુમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી છે જો કે, વર્ષ ૨૦૧૭ થી રજૂઆતો કરવામાં આવે છે તો પણ આજની તારીખે જમીનના કોઈ ઠેકાણા નથી જેથી કરીને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ખરેખર ફાયર સ્ટેશન બનાવવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે
મોરબી વાંકાનેર ૮-એ નેશનલ હાઇવેની આસપાસમાં સિરામિકની ૭૦૦થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં સિરામીક ટાઇલ્સનું ૨૪ કલાક પ્રોડકશન ચાલુ હોય છે જેથી કારખાનમાં હેવી ટેમ્પરેચર સાથે ભઠ્ઠીઓ ચાલુ હોય છે જેના કારણે સિરામીક યુનિટમાં ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા રહે છે અને અવારનવાર આગ લાગવાના નાના મોટા બનાવો બનતા હોય છે જેના સમયસર બચાવ કામગીરી ન કરવામાં આવે તો મોટી જાનહાની થવાનું જોખમો રહે છે જેથી મોરબી સિરામિક એસો.નાં વર્ષ ૨૦૧૭ ના પ્રમુખો દ્વારા ત્યારના કલેક્ટરને આવેદનપત્ર આપીને સામાકાંઠે ઔદ્યોગિક વિસ્તારમાં હોવાથી ત્યાં નવું અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી તે બનાવવામાં આવ્યું નથી તે હક્કિત છે
ત્યાર બાદ થોડા સમય પહેલા વાંકાનેર તાલુકાની હદમાં આવતા વિસ્તારમાં આવેલ પેપર મિલમાં ભયંકર આગા લાગી હતી અને લગભગ ત્રણ દિવસ સુધી મોરબી, ચોટીલા, ધ્રોલ, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કારવામાં આવ્યો હતો તો પણ આગ કાબુમાં આવી ન હતી અને અંદાજે તે કારખાનેદારને ૧૦૦ કરોડથી વધુનું નુકશાન થયું હતું ત્યારે મોરબી પેપર મિલ એસો. દ્વારા આવેદનપત્ર આપીને અધ્યતન ફાયર સ્ટેશન મોરબીમાં બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી ત્યારે પાસે માળીયા હાઇવે રોડ ઉપર પીવીસી બેનર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી જેના કારણે કારખાનેદારને મશીનરી સહિત કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતુ આવી અનેક ઘટનાઓ છેલ્લા વર્ષોમાં મોરબી જીલ્લામાં બનેલ છે જો કે ફાયરના ટાંચા સાધાનો હોવાના લીધે ઉધોગકારો નુકશાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તે નિર્વિવાદિત વાત છે
મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આગા અકસ્માતની ઘટના બને ત્યારે વધુ નુકશાન થવા પાછળનું મુખ્યકારણ મોરબી શહેર તથા જીલ્લામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધા છે તેવુ અહીના ઉદ્યોગકારો કહી રહ્યા છે કેમ કે આખા જીલ્લામાં ફાયરના માત્ર ત્રણ જ વાહન મોરબી પાલિકા પાસે છે જે શહેરના ટ્રાફિકને ક્રોસ કરીને ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો મોટાભાગનો માલ બળીને ખાખ થઇ જાય છે છેલ્લે લાગેલી આગને કાબુમાં લેવા માટે મોરબી જિલ્લા ઉપરાંત બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનોને મોરબી મંગાવવા પડ્યા હતા ત્યારે આગા કાબુમાં આવી હતી તે અહીના અધિકારીઓએ અને પદાધિકારીઓ સારી રીતે જાણે છે તો પણ મોરબીના ઔધોગિક વિસ્તારમાં આવી કોઇ દુર્ઘટના સર્જાઇ ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયરબ્રિગેડની સારી સુવિધાઓ કરવામાં આવી નથી અને જો તંત્ર આ બાબતે સમયસર નહીં જાગે તો આગામી સમયમ મોટી હોનારત સર્જાય તો નવાઈ નથી.
મોરબીના વિકાસને જોતાં અહી પાસેરામાં પુણી જેટલી સુવિધા ફાયરની નથી વાંકાનેર પાલિકાનું ફાયરનું કયારે ચાલુ હોય અને કયારે બંધ તે નક્કી હોતું નથી અને હળવદ પાલિકા પાસે ફાયરનું એક વાહન છે તેમજ ટંકારા અને માળીયા તાલુકામાં ફાયરની કોઈ સુવિધા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી જેથી ફાયરની સુવિધાના નામે ત્યા મીંડું છે માટે કુદરતી કે ક્રુત્રીમ આફતના સમયમાં લોકો લાચાર બની જાય છે અને મોરબી સહિત આસપાસના જીલ્લાઓમાં જ્યાં સુધી ફાયરના કોઇ વાહન સ્થળ ઉપક ન પહોંચે ત્યા સુઘી નજર સામો જાન માલને થતુ નુકશાન જોયા સિવાય બીજો કોઇ રસ્તો લોકો પાસે રહે તો નથી જેથી મોરબી જીલ્લાના ઓધોગિક વિકાસને ધ્યાનમાં રાખીને શહેરના સામાંકાંઠે વિસ્તારમાં આધુનિક ફાયરસ્ટેશન બનાવવાની જુદાજુદા એસો. અને સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે તેને ધ્યાને કેમ લેવામાં આવતી નથી તે પ્રશ્ન છે
પાલિકાએ ફાયર સ્ટેશન માટે માંગેલી જમીન કેમ કલેક્ટર ફાળવતા નથી ?
મોરબી પાલિકા દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કલેકટર કચેરીમાં ફાઇલ મૂકવામાં આવી છે જો કે, સિરામીક એસો., પેપર મિલ એસો. સહિતના સંગઠનો દ્વારા ફાયર સ્ટેશનની વારંવાર માંગણી કરવામાં આવે છે તો પણ તે ફાયર સ્ટેશન બનાવવા માટેની જમીન કલેક્ટર દ્વારા કેમ ફાળવવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને ઉદ્યોગકારો સહિતના લોકો ભવિષ્યમાં મોરબી જીલ્લામાં આગ અકસ્માતની કોઈ મોટી આફત સર્જાય તે પહેલા અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરે છે તો પણ અધિકારીઓએ જાણે કે મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જો કે, લોકોની સલામતીના મુદ્દાને તંત્ર દ્વારા આગામી દિવસોમાં કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે તો સમય જ બતાવશે