મોરબી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અનેક લાભાર્થીઓને અપાશે લાભ
SHARE
મોરબી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અનેક લાભાર્થીઓને અપાશે લાભ
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળા અન્વયે પૂર્વ આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૨-૨૩ અન્વયે જરૂરી સૂચના અધિકારીઓને આપી હતી
રાજ્યભરમાં આગામી ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે જિલ્લામાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓને વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ અપાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકનું સંચાલન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે દરેક વિભાગ દ્વારા પોતાના વિભાગ હેઠળની વિવિધ યોજનાઓમાં વધુને વધુ લાભાર્થીઓને સાંકળી લઇ ગરીબ કલ્યાણ મેળા અન્વયે અત્યારથી જ આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા