ટંકારાના હરબટીયાળી ગામે ખેતરમાં ઝેરી જંતુ કરડી જતા વૃદ્ધનું મોત
SHARE
ટંકારાના હરબટીયાળી ગામે ખેતરમાં ઝેરી જંતુ કરડી જતા વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ખેતરમાં કામ સબબ ગયેલા વૃદ્ધને કોઈ ઝેરી જંતુ કરડી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને તેમના મૃતદેહને મોરબી લાવવામાં આવતા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મોતીલાલ મેઘજીભાઈ નમેરા નામના ૬૧ વર્ષના વૃદ્ધ પોતાના ખેતરમાં ગયેલા હતા અને ત્યાં તેઓને કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેઓને અહીંની સત્યમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસમાં મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ ટંકારા પોલીસની હદનો હોય ટંકારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી
જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી સરદાર બાગ પાસે રહેતા મયુરભાઈ જેરામભાઈ નેસડિયા નામના ૪૩ વર્ષના યુવાનને પણ ઝેરી અસર થતા તેને અત્રે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન ખુલ્યું હતું કે મયુરભાઈને દુકાન હોય અને દુકાનમાં ઉધઈની પંપ વડે દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવા આંખમાં જતા તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા જયંતીભાઈ ભીમજીભાઈ ભટ્ટી નામના ૫૭ વર્ષીય આધેડ વાવડી ગામ પાસેના કબીર આશ્રમ નજીક ભક્તિનગર સોસાયટી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે જયંતીભાઈને હડફેટ લેતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા જ્યારે મોરબીના લાલપર પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા મનસુખભાઈ છગનભાઈ ભીમાણી બાઈક લઈને જતા હતા ત્યારે લખધીરપુર રોડ ઉપર તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેમને સારવારમાં લઈ જવાયા હતા.
યુવતી સારવારમાં
ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડી વિસ્તારમાં રહીને કામકાજ કરતી આરતીબેન શૈલેષભાઈ તવર નામની ૧૮ વર્ષીય મજૂર યુવતી વાડી વિસ્તારમાં હતી ત્યારે તેને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી જ્યારે રાજકોટના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતા સુખદેવસિંહ બચુભા જાડેજા પોતાના ઘરેથી પોતાની વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી સુખદેવસિંહને સારવાર માટે મોરબી લવાયા હતા.