વડાપ્રધાને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી
SHARE
વડાપ્રધાને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી
વંદે ભારત એક્સપ્રેસ દ્વારા શ્રેષ્ઠ અને આનંદપ્રદ રેલ મુસાફરીના અનુભવના એક નવા યુગનો પ્રારંભ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યોની રાજધાનીઓ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટી આ ટ્રેન સર્વશ્રેષ્ઠ પેસેન્જર સુવિધાઓ અને સ્વદેશી રીતે વિકસિત ટ્રેન "ટક્કર બચાવ" સિસ્ટમ "કવચ" સહિત અદ્યતન સલામતીનાં પગલાંથી સજ્જ છે. ફોટો કેપ્શન: પ્રથમ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી શુભારંભ કરી રહ્યા છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં માનનીય વડાપ્રધાન સ્ટાફ સાથે વાતચીત કરી રહ્યા છે. છેલ્લી તસવીરમાં માનનીય વડાપ્રધાન.વંદે ભારત એક્સપ્રેસથી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી અમદાવાદ સ્ટેશન સુધી મુસાફરી કરી રહેલા જણાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ ગાંધીનગર કેપિટલ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે નવી અને અપગ્રેડેડ વંદે ભારત એક્સપ્રેસની ઉદઘાટક સેવાને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય રેલ, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને માનનીયા કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શન જરદોશ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી પ્રસનોટ મુજબ માનનીય વડાપ્રધાને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પહોંચ્યા બાદ સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ 2.0 ના કોચનું નિરીક્ષણ કર્યું અને ઓન-બોર્ડ સુવિધાઓની નોંધ લીધી હતી. તેમણે ટ્રેનના આ અપગ્રેડેડ સંસ્કરણના લોકોમોટિવ એન્જિનના નિયંત્રણ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો હતો. વંદે ભારતને લીલી ઝંડી બતાવ્યા બાદ માનનીય વડાપ્રધાન વંદે ભારત એક્સપ્રેસમાં સવાર થયા અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી અમદાવાદ સ્ટેશન સુધી મુસાફરી કરી હતી.આ દરમિયાન માનનીય વડાપ્રધાને તેમના સહ-પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી જેમાં રેલવે કર્મચારીઓના પરિવારના સભ્યો, મહિલા ઉદ્યમીઓ અને સંશોધકો તથા યુવાનો સામેલ હતા. તેમણે વંદે ભારત ટ્રેનને સફળ બનાવવા માટે સખત મહેનત કરનારા વર્કરો, એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.અમદાવાદ સ્ટેશને ઉતર્યા બાદ માનનીય વડાપ્રધાન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતેના સમારંભના સ્થળ માટે રવાના થયા હતાં જ્યાં તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.તેમણે કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરી હતી.શ્રી ઠાકુરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસની ઉદઘાટક સેવા દ્વારા મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને આ ઐતિહાસિક પ્રવાસને યાદગાર બનાવવા એક સ્મરણિકા ટિકિટ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતાં આ સ્મૃતિચિહ્નો પ્રાપ્ત કરીને મુસાફરોએ આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો.