નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિંચાઇનું પાણી નહિ આવતા મોરબી-માળીયા તાલુકાનાં ખેડૂતો હેરાન
SHARE
નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિંચાઇનું પાણી નહિ આવતા મોરબી-માળીયા તાલુકાનાં ખેડૂતો હેરાન
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં આજની તારીખે સિચાઈનું પાણી આવતુ નથી જેથી અહીના ખેડૂતોએ તેના ખેતરમાં જે જુદાજુદા પાકનું વાવેતર કર્યું છે તેને બચાવવા માટે મુશ્કેલી ઊભી થયેલ છે અને જો કેનાલમાં સરકાર દ્વારા તાત્કાલિક કેનાલ પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને વાવેતરમાં મોટું નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેથી સરકાર દ્વારા ખેડૂતોના મોલને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે
ચાલુ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થયો છે જેથી કરીને મોરબી જીલ્લાના ખેડૂતોને ચોમાસુંમાં એક વખત પાક નિષ્ફળ ગયો હતો અને ઘણા ખેડૂતોએ પાછોતરું વાવેતર કર્યું હતું અને નર્મદાની કેનાલમાંથી પાણી મળશે તેવી ખેડૂતોને અપેક્ષા હતી જો કે, હાલમાં કેનાલમાંથી સિચાઈનું પાણી આવતું નથી ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે અને પાણી નહીં ઉતરે તો ખેડૂતો નુકશાનીના ખાડામાં ઉતારી જશે તે નિશ્ચિત છે આજની તારીખે નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કોરી પડેલ છે તો પણ અહીના રાજનેતાઓ અને અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી
અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે અને આ ત્રણેય કેનાલમાં આજની તારીખે સિંચાઇ માટેનું પાણી આવતું નથી અને જો મોરબી જીલ્લામાં આવતી કેનાલમાં છેવાડા સુધી નર્મદાનું પાણી આવશે નહીં તો કેનાલના આધારે ખેતરોમાં પાકનું વાવેતર કરનારા ખેડૂતોને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતી ઊભી થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, પહેલા કરેલ વાવેતર નિષ્ફળ જવાથી કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી આશાએ વાવણી કરેલ છે અને જો પાણી ન આવે તો આ તમામ ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે તે હક્કિત છે
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં બ્રાહ્મણી ડેમ સુધી આવે છે અને ત્યાંથી મોરબીના ભરતનગર સુધી પાણી આપવામાં આવે છે જો કે, હજુ સુધી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોચવાની વાત તો દુર રહી કેનાલના પાણી કેનાલના છેવાડા સુધી પણ આવતું નથી જો આવીને આવી પરિસ્થિતી રહી તો આ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતો હેરાન થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલમાં અધિકારી કે રાજકીય નેતાઓ તરફથી ખેડૂતોને સંતોષકારક જવાબ મળતા નથી ત્યારે પાણી આવશે કે કેમ તે સવાલ છે અને જો પાણી નહીં આવે તો નુકશાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ખેડૂતો પાસે રહેવાનો નથી જેથી આ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને પાણી કેનાલમાંથી મળે તેના માટે નક્કર કામ કરવામાં આવે તે અનિવાર્ય છે