તપાસના બેઝની ઓથેંટીસીટી શું?: મોરબી પાલિકાના ચીફ ઓફિસર પાસે કરાર કરવાની સત્તા છે ? સૌથી મોટો સવાલ
મોરબી પાલિકાના ચીફ ઓફિસર પાસે શું હોય સત્તા ?: કઈ સત્તા-કોના કહેવાથી થયો કરાર !
SHARE
મોરબી પાલિકાના ચીફ ઓફિસર પાસે શું હોય સત્તા ?: કઈ સત્તા-કોના કહેવાથી થયો કરાર !
પાલિકના ચીફ ઓફિસરે હાલમાં અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા.લી. (ઓરેવા ગ્રૂપ)ને જે કરાર કરી આપેલ છે તેની સત્તા પાલિકાના ચીફ ઓફિસર પાસે છે કે નહીં તે જાણવા માટેનો પ્રયાસ કરતાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, પાલિકાના ચીફ ઓફિસર વહીવટી અધિકારી છે તેની પાસે ૫૦૦૦ સુધીની મર્યાદાના ખર્ચ કરવા માટેની સત્તા છે તેનાથી વધુની રકમનો ખર્ચ કરવાનો હોય તો પણ જનરલ બોર્ડની મંજૂરી લેવાની રહેતી હોય છે ત્યારે જનરલ બોર્ડના ઠરાવ વગર ઓરેવા ગ્રૂપની સામે શા માટે પાલિકાના ચીફ ઓફિસરે ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કેમ કરી આપ્યો હતો અને તેને આ સત્તા કોણે આપી હતી તે દિશામાં જો તપાસ કરવામાં આવશે તો ખરેખર કોની કોની બેદરકારીના લીધે આ ગોજારી દુર્ઘટના બનેલ છે તેની હક્કિત સામે આવશે તે નિશ્ચિત છે
પાલિકાના વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકાના જનરલ બોર્ડમાં પહેલા ઠરાવ કરવામાં આવે ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે તે ઠરાવની અમલવારી કરવાની હોય છે જો કે, પાલિકામાં ઓરેવા ગ્રૂપને ઝૂલતા પુલની જવાબદારી આપવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો જ નથી તો પછી ચીફ ઓફિસરે કઈ સત્તાના આધારે અથવા તો કોના કહેવાથી ઓરેવા ગ્રૂપને આ ઝૂલતા પુલની જવાબદારી આપવા માટેના ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી આપેલ છે તે તપાસનો વિષય છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લે કરવામાં આવેલ કરારને બેઝ બનાવીને તપાસનીશ અધિકારી દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જો કે, જનરલ બોર્ડની મંજૂરી જ નથી તો પછી આ કરાર માત્ર એક કાગળથી વિશેષ કશું જ નથી ત્યારે તેને બેઝ બનાવીને ચલાવવામાં આવી રહેલી તપાસની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે, તપાસના બેઝ એવા ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરેલા કરારની ઓથેંટીસીટી શું? તેને લઈને પાલિકામાં જ ચર્ચા રહી છે અને કરાર કર્યા પછી કરવામાં આવેલા રોજકામમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા.લી. (ઓરેવા ગ્રૂપ) સાથે કરવામાં આવેલ એગ્રીમેન્ટને જનરલ બોર્ડમાં મંજૂર કરવાની શરતે ૧૫ વર્ષ માટે સંપૂર્ણ મેનેજમેંટ કરવા માટેનો એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે જો કે, જનરલ બોર્ડમાં તે ઠરાવ કરવામાં આવેલ નથી અને ચીફ ઓફિસર પાસે આ કરાર કરવાની સત્તા નથી તો પછી કરાર કેવી રીતે થયો અને કોના કહેવાથી થયો ?