મોરબીમાં ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ
મોરબી : મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પડાયું
SHARE
મોરબી : મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પડાયું
મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણીનું તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની જોગવાઈ અનુસાર ઉમેદવારી પાછી ખેંચવા માટે નિયત કરેલ છેલ્લી તારીખ અને મતદાન વચ્ચે ઓછામાં ઓછા ચોખ્ખા ૧૩ દિવસનો ગાળો રાખવામાં આવે છે. આ સમયગાળા પછી મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા.૧/૧૨/૨૦૨ ના રોજ સવારના ૮ કલાકથી સાંજના ૫ કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.
ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ મતદાર ક્ષેત્ર સિવાયના રાજકીય કાર્યકર્તાઓને મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લાની વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે.ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૨૯-૧૧ ના સાંજના ૫ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લા વિસ્તાર છોડી જતા રહેવા જણાવાયું છે.
આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લાના વિસ્તારમાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીસી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવા પણ જણાવાયું છે. રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે, તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવક કરી શકશે.